દસ ઇન્દ્રિયો પર વિજય એટલે દશેરો : જાણો દશેરાના સાંસ્કૃતિક પાસા વિશે
શારદીય નવરાત્રિના દસમા દિવસે અને દિવાળીથી બરાબર વીસ દિવસ પહેલા દશેરાની ઉજવણી કરવામાં આવે છે. દશેરો હિન્દુઓનો બહુ મોટો તહેવાર ગણાય છે. આપણે જેને ‘આસો’ કહીએ છીએ, એ અશ્વિન માસના શુક્લ પક્ષની દસમી તિથીએ દશેરો આવે છે. પ્રભુ શ્રીરામે આ દિવસે જ રાવણનો વધ કરેલો. વળી આ જ દિવસે દેવી દુર્ગાએ મહિષાસુર રાક્ષસનો વધ કરેલો. આથી દશેરાનો દિવસ અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક ગણાય છે. આ દિવસે રાવણનું પૂતળું પણ સળગાવવામાં આવે છે. દશેરાને ‘વિજય દશમી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુઓ માટે દશેરો એ વર્ષની સૌથી શુભ તિથીઓ પૈકીની એક તિથી છે. આ દિવસે લોકો શસ્ત્ર પૂજા કરે છે. નવા કાર્યોનો પ્રારંભ કરવા માટે પણ દશેરાની તિથી ઉત્તમ મનાય છે.
ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે અને દશેરાનો સંબંધ પણ ‘શક્તિ’ સાથે છે. મા દુર્ગાએ મહિષાસુર રાક્ષસનો વધ કરેલો. એ પછી મહિષાસુર મર્દિની માઁ દુર્ગાએ ચંડ-મુંડ જેવા રાક્ષસોનો પણ વધ કરેલો. પ્રભુ શ્રીરામે પણ રાવણનો વધ કરતા પહેલા માઁ દુર્ગાની પૂજા કરેલી. જે રીતે જ્ઞાન માટે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે, એ જ પ્રમાણે શક્તિ માટે માઁ દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે. આથી બંગાળ સહિતના કેટલાક સ્થળોએ દશેરાને ‘દુર્ગા-પૂજા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
દશેરો શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ ‘દશ-હર’માંથી થઇ છે. અહીં દસ માથાવાળા રાવણને મારવાનો પ્રચલિત અર્થ તો છે જ. પણ એ સાથે જ દશ-હરનો એક અર્થ દસ બુરાઈઓથી (નકારાત્મક શક્તિઓથી) છૂટકારો મેળવવો, એવો પણ થાય છે. આજના જમાનામાં જ્યારે પૃથ્વી ઉપર રાક્ષસો રહ્યા નથી, ત્યારે દરેક માણસે સૌથી પહેલા પોતાના મનની અંદર વસેલી બુરાઈઓ સામે લડવું પડે છે. દશ-હર શબ્દ સમય સાથે અપભ્રંશ થઈને ‘દશેરો’ બની ગયો છે. દશેરાને બુરાઈ પર વિજયના પ્રતિક રૂપે ઉજવવામાં આવે છે.
ભારત એક કૃષિપ્રધાન દેશ છે. જ્યારે આખું વર્ષ મહેનત કર્યા બાદ ખેડૂત પોતાના ખેતરમાં ઉગેલા પાકરૂપી સંપત્તિને લણીને ઘરે લાવે છે, ત્યારે એના આનંદનો પાર હોતો નથી. ખેડૂત હંમેશા પ્રકૃતિ અને એના તત્વોની નજીક રહે છે, કેમકે એ પ્રકૃતિની તાકાતને બરાબર સમજે છે. આથી જ્યારે ખેતરમાં સારો પાક થાય છે, ત્યારે ખેડૂત એને ઈશ્વરની કૃપા ગણીને સ્વીકારે છે. ઈશ્વરની આ કૃપા બદલ આભાર વ્યક્ત કરવા માટે ખેડૂત દશેરાને દિવસે પૂજા અર્ચના કરે છે.
એજ પ્રમાણે ક્ષત્રિયો આસુરી શક્તિઓના વધ માટે અને નિર્દોષના રક્ષણ માટે વપરાતા પોતાના શાસ્ત્રોની પૂજા કરે છે. કારીગર વર્ગ પણ પોતાના યંત્રો-મશીનરીઝની પૂજા કરીને ઈશ્વરનો પાડ માને છે. ભારતના વિભિન્ન પ્રદેશોમાં દશેરો જુદી જુદી રીતે ઉજવાય છે. દશેરાને દિવસે શમીના વૃક્ષની પૂજા પણ કરવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી દુર્ગા અને ભગવાન શ્રીરામની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. વ્યક્તિ જીવનમાં સમસ્યાઓથી મુક્તિ મેળવે છે અને દુશ્મનો પર વિજય મેળવે છે. શાસ્ત્ર અને શસ્ત્રોની પૂજાનું પણ આ દિવસે વિશેષ મહત્વ છે. કહેવાય છે કે નવગ્રહોની સ્થિતિ મજબૂત કરવા માટે દશેરાના દિવસે પૂજા કરવાથી લાભ થાય છે.
આ વર્ષે દશેરાના દિવસે ત્રણ શુભ યોગો રચાઈ રહ્યા છે.
રવિ યોગ : 14 ઓક્ટોબર 09:34 PM થી 15 ઓક્ટોબર 09.31 AM
સર્વાર્થ સિદ્ધિ યોગ : 15 ઓક્ટોબર 06:02 AM થી 09:15 AM
કુમાર યોગ સૂર્યોદયથી સવારે 09:16 સુધી
આ ત્રણેય શુભ યોગોમાં દશેરાની પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક રહેશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp