આજે છઠ્ઠું નોરતું : કાત્યાયની માતા વિશેની પૌરાણિક કથા, ઉપાસના મંત્ર અને એના ફળ વિષે જાણો

આજે છઠ્ઠું નોરતું : કાત્યાયની માતા વિશેની પૌરાણિક કથા, ઉપાસના મંત્ર અને એના ફળ વિષે જાણો

10/22/2020 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

આજે છઠ્ઠું નોરતું : કાત્યાયની માતા વિશેની પૌરાણિક કથા, ઉપાસના મંત્ર અને એના ફળ વિષે જાણો

આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ. આજે નવદુર્ગાના કાત્યાયની સ્વરૂપનું પૂજન-અર્ચન થાય છે. આ દિવસે સાધકનું મણ ‘આજ્ઞાચક્ર’માં સ્થિત હોય છે.

કાત્યાયનીએ મા પાર્વતીનું જ બીજું નામ છે. ઉમા, કાત્યાયની, ગૌરી, કાળી, શાકંભરી, હેમાવતી, ઈશ્વરી વગેરે નામો પણ એમના જ છે. પરમેશ્વરના નૈસર્ગિક ક્રોધમાંથી ઉત્પન્ન થયેલા મા કાત્યાયનીએ સિંહ પર સવાર થઈને મહિષાસુરનો વધ કરેલો. ઈસવીસન પૂર્વે બીજી શતાબ્દીમાં લખાયેલ મહાભાશ્યમાં પણ કાત્યાયની દેવીનો ઉલ્લેખ છે. બુદ્ધ અને જૈન ગ્રંથોમાં પણ એમનો ઉલ્લેખ છે.

મા કાત્યાયની ચાર ભુજાધારી છે. જમણી તરફની બે ભુજાઓ પૈકી ઉપરની ભુજા દ્વારા માતા ભયથી મુક્તિ અપાવનારા આશિર્વાદ આપે છે. જ્યારે નીચેની ભુજા દ્વારા સાધકને વરદાન આપે છે. ડાબી બાજુએ ઉપરની ભુજામાં દુષ્ટોના વધ માટે તલવાર ધારણ કરી છે, જ્યારે નીચેની ભુજામાં કમળનું પુષ્પ ધારણ કર્યું છે. માતા સિંહ પર સવાર છે.

 

 

 

પૌરાણિક કથા

પૌરાણિક કાળમાં કત નામના એક મહર્ષિ હતા. એમના પુત્ર એટલે ઋષિ કાત્ય. એમના જ ગોત્રમાં વિશ્વપ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન જન્મ્યા. મહર્ષિ કાત્યાયને અનેક વર્ષો સુધી મા ભગવતી પરામ્બાની અતિ કઠિન ઉપાસના કરી. એમની ઈચ્છા હતી કે સાક્ષાત મા ભગવતી એમના ઘરે પુત્રી બનીને અવતાર લે. કઠિન તપસ્યાથી પ્રસન્ન થયેલા મા ભગવતીએ મહર્ષિ કાત્યાયનની ઈચ્છા પૂર્ણ કરવા માટે એમના ઘરે પુત્રી બનીને જન્મ લીધો.

જ્યારે પૃથ્વી ઉપર દાનવ મહિષાસુરનો અત્યાચાર વધી ગયો. એ સમયે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દ્વારા પોતાના તેજનો અંશ આપીને એક દેવી ઉત્પન્ન કરવામાં આવ્યા. એવું કહેવાય છે કે આ એ જ દેવી હતા, જેમણે મહર્ષિ કાત્યાયનને ત્યાં જે પુત્રી જન્મ લીધેલો. આ દેવીની સર્વપ્રથમ પૂજા મહર્ષિ કાત્યાયને કરી. આથી એ કાત્યાયની દેવી કહેવાયા. આ કાત્યાયની દેવીએ મહિષાસુરનો વધ કરેલો.

 

શ્લોક

કાત્યાયની માતાનો શ્લોક આ મુજબ છે.

चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना ।

कात्यायनी शुभं दद्याद्देवी दानव-घातिनी ॥

 

કાત્યાયની માતાની પૂજા કઈ રીતે કરશો?

કાત્યાયની માતાની પૂજા કરવાથી અદભૂત શક્તિનો સંચાર થાય છે. સવારે સ્નાન કરીને કાત્યાયની દેવીની પૂજા કરવી. પૂજામાં નારિયેલ, કળશ, ગંગાજળ, ચોખા, ચૂંદડી, મધ, અગરબત્તી, ધૂપ-દીપ, ઘી  વગેરે સામગ્રીનો ઉપયોગ કરવો. માતા કાત્યાયનીની પૂજા સમયે હાથમાં ફૂલ ધારણ કરી રાખવું.

 

ઉપાસના મંત્ર :

या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता।

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:॥

અર્થાત, કાત્યાયની સ્વરૂપે સર્વત્ર બિરાજમાન હે માતા અંબે, આપને મારા વારંવાર પ્રણામ!

જે કન્યાઓના લગ્નમાં વિલંબ થતો હોય, એમણે દેવી કાત્યાયનીની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. જેથી એમને મનોવાંચ્છિત વરની પ્રાપ્તિ થાય. આ માટેનો કાત્યાયની મંત્ર નીચે મુજબ છે.

ॐ कात्यायनी महामाये महायोगिन्यधीश्वरि । नंदगोपसुतम् देवि पतिम् मे कुरुते नम:॥

 

માતાને શાનો ભોગ ધરાવશો?

મા કાત્યાયનીને મધ અને દૂધી પસંદ છે. આથી આ ચીજોનો ભોગ ચડાવી શકાય છે.

 

પૂજાનું ફળ

કાત્યાયની માતાને સાચા હૃદયથી ભજનાર સાધકના રોગ, શોક, સંતાપ, ભય વગેરે દૂર થાય છે. સાચા સાધકના જન્મોજન્મના પાપ માતા દૂર કરે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top