કલકત્તા હાઇકોર્ટના ચુકાદાને પગલે બંગાળના ૨૪ હજાર શિક્ષકો નોકરી ગુમાવશે, જાણો સમગ્ર મામલો
લોકસભા ચૂંટણી વચ્ચે પશ્ચિમ બંગાળની મમતા સરકારને સરકારી શિક્ષક ભરતી કૌભાંડમાં કલકત્તા હાઈકોર્ટનો મોટો ઝટકો લાગ્યો છે. કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સ્કૂલ સેવા આયોગે આશરે 24 હજાર શિક્ષકોની કરેલી ભરતીઓ રદ કરવાનો આદેશ આપ્યો છે. જેના પછી ૨૪૦૦૦ શિક્ષકોએ તેમની નોકરી ગુમાવવી પડશે. આ તમામ ભરતી માટે રૂ. પાંચથી 15 લાખ સુધીની લાંચ લીધી હોવાનો આરોપ છે. કોલકાતા હાઈકોર્ટના આદેશ પછી ઈડી અને સીબીઆઈએ આ તપાસ હાથ ધરી હતી.
આ ઉપરાંત કોર્ટે શિક્ષકોને આપેલો પગાર પણ પરત કરવાનો આદેશ કર્યો છે. આ લોકોને ચાર અઠવાડિયામાં 12 ટકા વ્યાજ સાથે તેમનો આખો પગાર પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ માટે કોર્ટે જિલ્લા અધિકારીઓને પૈસા વસૂલવા માટે 6 અઠવાડિયાનો સમય આપ્યો છે. હાઈકોર્ટે શાળા સેવા આયોગને ફરીથી નવી નિમણૂંકો શરૂ કરવાનો આદેશ પણ આપ્યો છે.
ઈડીએ આ કેસમાં 2022માં તપાસ શરૂ કરી હતી. 22મી જુલાઈના રોજ ઈડીએ પાર્થ ચેટરજીના ઘર સહિત 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ઈડીને અર્પિતા મુખરજીની સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા હતા. જ્યારે પાર્થ ચેટર્જીને અર્પિતા વિશે પૂછવામાં આવ્યું તો તેમને સંતોષકારક જવાબ મળ્યો નહીં. આ પછી અર્પિતા મુખરજી ઈડીના રડાર પર આવી ગયા હતા.
જ્યારે ઈડીએ અર્પિતાના ફ્લેટ પર દરોડા પાડ્યા ત્યારે તેમને લગભગ 21 કરોડ રૂપિયા રોકડા, 60 લાખ રૂપિયાની વિદેશી ચલણ, 20 ફોન અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. અર્પિતા એક મોડલ છે. તે બંગાળી અને ઓડિશાની ફિલ્મોમાં નાના રોલ કરી રહી છે. આ ઉપરાંત ઈડીએ અર્પિતાના અન્ય સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ઈડીએ અર્પિતાના ઘરેથી 27.9 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી હતી. આ સિવાય ઈડીને 4.31 કરોડ રૂપિયાનું સોનું મળ્યું હતું.
અહેવાલો અનુસાર, વર્ષ 2014માં પશ્ચિમ બંગાળના સ્ટાફ સિલેકશન કમિશને શિક્ષકોની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. તે સમયે પશ્ચિમ બંગાળના શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજી હતા. આ ભરતી પ્રક્રિયા 2016માં શરૂ થઈ હતી. પરંતુ અરજદારોએ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ લગાવ્યા હતા અને કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજદારોનો આક્ષેપ હતો કે, ઓછા નંબરો હોવા છતાં ઊંચા હોદ્દાની નોકરીઓ આપવામાં આવી હતી, ઉપરાંત નોકરી મેળવનાર મોટાભાગના લોકોએ TET પાસ કરી ન હતી.
લગભગ પાંચ વર્ષ સુધી આ મામલાની સુનાવણી ચાલી હતી. બાદ મે 2022માં હાઈકોર્ટે સીબીઆઈને આ ભરતીની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ફરિયાદીઓએ ભરતી માટે 5થી 15 લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. આવી સ્થિતિમાં ઈડીએ મની લોન્ડરિંગના એંગલથી પણ શિક્ષક ભરતી કૌભાંડની તપાસ કરી હતી. પુરાવા મળ્યા બાદ ઈડીએ પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજી અને તેની નજીકની સહયોગી અર્પિતા મુખરજીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી મમતા બેનરજીએ પાર્થ ચેટરજીને પદ પરથી હટાવી દીધા હતા.
કલકત્તા હાઈકોર્ટના નિર્ણય પર મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, 'હું કહેવા માંગુ છું કે જેમણે આજે નોકરી ગુમાવી છે. અમે તેમના માટે અંત સુધી લડીશું. જેમણે આદેશ આપ્યો છે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. અમે આ નિર્ણયને પડકારીશું. આ નિર્ણય સાથે 26 હજાર ઉમેદવારોનું ભાવિ જોડાયેલું છે. અમે રોજગારી આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ એક ગેરકાયદે આદેશ છે. આ નિર્ણય સામે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. પરંતુ ચિંતા કરશો નહીં. 10 લાખ વધુ નોકરીઓ તૈયાર છે.'
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp