Lokasabha Election: એક જ ચુંટણીમાં આ ૧૪ ગામોના લોકો કરે છે બે-બે વાર મતદાન, ગ્રામજનોનું કહેવું છે કે પહેલાં સરકાર પોતાના પ્રશ્નોનો ઉકેલ લાવે, જાણો સમગ્ર વાત
Lokasabha Election: ચૂંટણી પંચ દેશમાં યોજાતી તમામ ચૂંટણીમાં નિષ્પક્ષ અને પારદર્શક મતદાન થાય તે માટે કામ કરતું હોય છે. પરંતુ ચુંટણીને લગતા એવા કેટલાક મુદ્દા છે જેનો હજી સુધી નિકાલ નથી આવ્યો. ચુંટણીમાં ઘણા કારણોસર લોકો ઇચ્છાવા છતા જુદા જુદા કારણોસર મતદાન નથી કરી શકતા. ત્યારે દેશમાં મહારાષ્ટ્ર અને તેલંગણાની સરહદે આવેલા કેટલાક પ્રદેશો એવા પણ છે, જ્યાં લોકો બે-બે વખત મતદાન કરે છે. જેના કારણે તેની પારદર્શકતા રહેતી નથી. જો કે આવા મુદ્દાનો ઉકેલ લાવવા માટે ચૂંટણી પંચ દ્વારા મથામણ કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ નથી મળ્યો.
મહારાષ્ટ્ર અને તેલંગણાની સરહદે 14 ગામના વિસ્તારો અને મતક્ષેત્રો બે રાજ્યોમાં છે. અહીંયા વસતા 4000 લોકોને બંને રાજ્યોમાં આવતા મતદાન ક્ષેત્રોમાં મતદાન કરવાનો અધિકાર છે. તેઓ પાસે બે આધારકાર્ડ, બે ચૂંટણી કાર્ડ, બે રેશનિંગ કાર્ડ છે. જેના દ્વારા તેઓ બંને રાજ્યોનું બેવડું નાગરિકત્વ ભોગવે છે. તેથી હવે આ લોકો પહેલાં તબક્કાના મતદાન બાદ ચોથા તબક્કામાં પણ મતદાન કરતા જોવા મળશે. મહારાષ્ટ્રમાં પહેલા તબક્કામાં ચંદ્રપુર ક્ષેત્રમાં મતદાન થયું હતું. હવે ચોથા તબક્કામાં 13મી મેના રોજ તેલંગણાના આદિલાબાદ ખાતે થનાર મતદાનમાં પણ તેઓ મતદાન કરશે.
આ 14 ગામ એવા છે જેમાં મરાઠી અને તેલુગુ બંને સ્કૂલો અને હોસ્પિટલો છે. અહીં બંને ક્ષેત્રની સાથે સંકળાયેલી બે ગ્રામ પંચાયતો પણ છે. આ સાથે અહીંયા બે-બે સરપંચ પણ છે. તેલંગણાના આદિલાબાદમાં કેરામેરી ક્ષેત્રમાં આ 14 ગામ આવેલા છે. તેનો સમાવેશ મહારાષ્ટ્રના ચંદ્રપૂર ક્ષેત્રમાં થાય છે. જ્યારે આંધ્રપ્રદેશની રચના થઈ ત્યારથી અંદાજે 1956થી આ વિવાદ ચાલતો આવ્યો છે.
પારંડોલી પંચાયત હેઠળ આવતા ગામના લોકો જણાવે છે કે, તેઓ દરેક લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં બે વખત મતદાન કરે છે. તેમની પાસે બંને રાજ્યોના મતદાર ઓળખપત્ર છે. તેઓ બંને રાજ્યોમાં શક્ય હોય ત્યાં મત આપવા જાય છે. તેમણે એમ પણ જણાવ્યું કે, બંને રાજ્યોમાં એકસાથે મતદાન હોય ત્યારે તેઓ શક્ય હોય ત્યાં એક જ મતદાન કરે છે પણ જો તારીખમાં ફેરફાર હોય તો બંને રાજ્યોમાં મત આપવા જતા હોય છે. આ લોકો એમ પણ જણાવે છે કે, ‘અમને બંને રાજ્યોમાંથી સુવિધાઓ મળે છે તેથી અમે બંને રાજ્યોમાં મત આપીએ છીએ.’ તાજેતરમાં ચંદ્રપુર જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, ‘આ 14 ગામના લોકોને બે વખત મતદાન કરતા રોકવા જોઈએ. તેઓને સમજાવવા જોઈએ કે આ ગેરકાયદે છે.’
ગ્રામજનોનું કહેવું છે કે, સરકારી અધિકારીઓ અમને જે સમજાવવા માગે છે તે અમે જાણીએ જ છીએ. અમને ખબર જ છે કે, અમે બે વખત મતદાન કરીએ છીએ તે ખોટું છે. આ કાયદાની વિરુદ્ધ છે. સરકાર અમારા માટે જે નિર્ણય લેશે તે અમને માન્ય છે પણ પહેલાં સરકાર પોતાની સમસ્યાનો તો ઉકેલ લાવે. કેટલાક ગ્રામજનો માને છે કે, અમને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઉપેક્ષિત કરવામાં આવી રહ્યા છે. તેલંગણા સરકાર દ્વારા અમને ઘણી મફત સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ સંજોગોમાં કયા રાજ્યમાં અમારે જવું તેનો પણ ઉકેલ ઝડપી આવે તેમ લાગતું નથી.
સરકારે પહેલાં તો એ નક્કી કરવું પડશે કે, અમારા ગામ અને તેની જમીનો કયા રાજ્યમાં આવશે. અમને તેલંગણા અથવા મહારાષ્ટ્ર હેઠળ લાવવા કે નહીં તે નક્કી કરવું પડશે. સરકાર ઈચ્છે તો કોઈ એક મતદાર યાદીમાંથી અમારા નામ કાઢી નાખે. અમે મત આપવા નહીં જઈએ. તેઓ અમારી સરકારી યોજનાઓની યાદીમાંથી નામ કેવી રીતે કાઢશે. અમને માત્ર એટલું જ જણાવે કે અમે કયા રાજ્યમાં આવીએ છીએ. અમારી જમીનો જ નથી. સરકાર અમને જમીનનો પટ્ટો આપે. અત્યારે જમીન જંગલ તરીકે નોંધાયેલી છે તે અમારા નામ થવી જોઈએ. પહેલાં સરકારી સમસ્યાઓનો ઉકેલ આવશે ત્યારે જ અમારી સમસ્યાઓનો ઉકેલ આવી શકશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp