Sports : પંજાબ કિંગ્સના કેપ્ટન બન્યા બાદ પોતાની જૂની ટીમ SRH માટે આ ખેલાડીએ આપ્યું ચોંકાવનારું નિવેદન; જાણો શું કહ્યું?
હાલમાં વનડેમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહેલા શિખર ધવન ફરી ચર્ચામાં છે. પહેલી વાત તો એ છે કે તેને ન્યૂઝીલેન્ડ સામેની ODI સિરીઝ માટે કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે તે IPL 2023માં પણ પંજાબ કિંગ્સની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. પંજાબ કિંગ્સ દ્વારા તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે શિખર ધવન આગામી સિઝનમાં મયંક અગ્રવાલની જગ્યાએ ટીમનો કેપ્ટન બનશે.
આઈપીએલ 2022માં જ શિખર ધવન દિલ્હી કેપિટલ્સમાંથી મુક્ત થયા બાદ પંજાબ કિંગ્સ પાસે ગયો હતો અને હવે તેને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી છે. શિખર ધવન આ પહેલા ઘણી ટીમો માટે રમી ચુક્યો છે અને તેમની કેપ્ટનશીપ પણ કરી ચુક્યો છે. પંજાબ કિંગ્સ એવી આઈપીએલ ટીમોમાંથી એક છે જેણે એક વખત પણ આઈપીએલનો ખિતાબ જીત્યો નથી, હવે શિખર ધવને તે કામ કરવું પડશે જે અત્યાર સુધી નથી કર્યું. આ દરમિયાન શિખર ધવને તેની જૂની ટીમ SRH એટલે કે સનરાઈઝર્સ હૈદરાબાદને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
પોતાની નવી ટીમ પંજાબ કિંગ્સ વિશે શિખર ધવને કહ્યું છે કે ટીમની છેલ્લી સિઝન અમે ઈચ્છતા હતા તે રીતે ગઈ નથી. તેણે કહ્યું કે તેને પહેલેથી જ ખ્યાલ હતો કે તે આગામી સિઝનમાં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી શકે છે. ઇન્ટરવ્યુમાં શિખર ધવને કહ્યું કે પંજાબ કિંગ્સના ટીમ મેનેજમેન્ટ અને ચાહકો ઇચ્છે તેવી સફળતા હજુ હાંસલ કરી નથી. શિખર ધવને સનરાઈઝર્સ હૈદરાબાદ વિશે કહ્યું કે તે માત્ર અડધી સિઝન માટે SRHનો કેપ્ટન હતો. હવે તે નવી ટીમ સાથે નવી શરૂઆત કરી રહ્યો છે.
તેણે કહ્યું કે તેણે અત્યાર સુધી ચાર શ્રેણીમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી છે. જો IPL ટીમ કોઈપણ ખેલાડીને કેપ્ટનશિપની જવાબદારી આપે છે તો તેને ઓછામાં ઓછી એક સિઝન આપવી જોઈએ. જો તેને અગાઉથી ખબર હોત કે SRH ટીમ તેને માત્ર અડધી સિઝન માટે કેપ્ટન બનાવી રહી છે, તો તેણે તે બિલકુલ ન લીધું હોત. તેણે કહ્યું કે એક બેટ્સમેન તરીકે હું તે સિઝનમાં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો, તેથી કદાચ તેમને લાગ્યું કે હું દબાણમાં છું તેથી સારું પ્રદર્શન કરી શકતો નથી અને તે સમયે મેં તેમનો નિર્ણય સ્વીકાર્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp