સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતની એક ક્રિકેટ ટીમ શ્રીલંકાના (Sri lanka) પ્રવાસે ગઈ છે. આજે બંને ટીમો વચ્ચે T-20 મેચ રમવામાં આવનાર હતી પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર કૃણાલ પંડ્યા (Krunal Pandya) કોરોના પોઝિટીવ આવતા હવે મેચ એક દિવસ માટે ટાળી દેવામાં આવી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે હવે T-20 મેચ જે મંગળવારે રમવામાં આવનાર હતી તે બુધવારે રમાશે. હાલ ઇન્ડિયન ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ આઈસોલેશનમાં હોવાનું જાણવા મળ્યું છે.
બીસીસીઆઈના (BCCI) એક અધિકારીએ કહ્યું કે, કૃણાલ કોરોના પોઝિટીવ આવ્યો છે. ભારતના બાકીના ખેલાડીઓના આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે રિપોર્ટ સાંજે છ વાગ્યે આવશે અને જો તમામ ખેલાડીઓ કોરોના નેગેટિવ આવે તો બુધવારે મેચ રમાશે. આ મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ 13 થી 18 જુલાઈ સુધી યોજાનાર હતી અને ત્યારબાદ 21 જુલાઈથી 25 જુલાઈ સુધી ત્રણ મેચોની T-20 મેચ રમાનાર હતી પરંતુ કાર્યક્રમમાં ફેરફાર કરીને વન-ડે સીરીઝની શરૂઆત 18 જુલાઈના રોજ કરવામાં આવી હતી.
ત્યારબાદ 20 અને 23 જુલાઈએ બે મેચ રમાઈ હતી. T-20 સીરીઝની પહેલી મેચ 25 જુલાઈએ રમાઈ હતી. બીજી મેચ આજે 27 જુલાઈએ આયોજીત થઇ હતી. જે ટાળી દેવામાં આવી છે અને આવતીકાલે રમાય તેવી શક્યતા છે. જ્યારે ત્રીજી T-20 મેચ ૨૯ જુલાઈએ આયોજીત કરવામાં આવી છે.
ત્રણ મેચની T-20 સીરીઝમાં ટીમ ઇન્ડિયા 1-0 થી આગળ છે. પહેલી મેચમાં ભારતે શ્રીલંકાની ટીમને 38 રનોથી હરાવી હતી. કૃણાલ પંડ્યાએ આ મેચમાં માત્ર બે ઓવર બોલિંગ કરી હતી અને 16 રન આપીને 1 વિકેટ મેળવી હતી. જ્યારે બેટિંગ કરતા અણનમ 3 રન બનાવ્યા હતા.
નોંધવું મહત્વનું છે કે આ ટીમની કપ્તાની શિખર ધવન કરી રહ્યો છે. નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે છે. જેથી શિખર ધવનની આગેવાનીમાં યુવા ખેલાડીઓને શ્રીલંકા વિરુદ્ધ રમવા માટે મોકલવામાં આવ્યા છે.