ગુજરાતમાં આમ આદમી પાર્ટીના બે મોટા નેતાઓને થયો પાર્ટીથી મોહભંગ..!? પાર્ટીના સ્ટાર પ્રચારક તરીકે જાહેર થયું હતું તેમનું નામ, જાણો
લોકસભા ચુંટણી શરુ થવાને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના બે મોટા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. પહેલેથી જ મુસીબતોમાં ફસાયેલ આમ આદમી પાર્ટીને એક સાથે બે દિગ્ગજ નેતાઓનુ રાજીનામું આવતા મોટો ફટકો પડ્યો છે.
આજે આ બંને નેતાઓએ પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીને પત્ર લખી રાજીનામું આપી દીધું છે. વિગતો મુજબઅલ્પેશ કથીરિયા સુરત શહેર કાર્યકારી પ્રમુખ હતા. હજી ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી. જેમાં અલ્પેશ કથીરિયાનું નામ પણ સામેલ હતું. અલ્પેશ કથીરિયા પાર્ટી માટે પ્રચાર કરે તે પહેલા તેઓએ આજે રાજીનામું આપી દીધું છે. જેનાથી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. અચાનક લોકસભા ચૂંટણી પહેલા જ અલ્પેશ કથીરિયાનો AAPથી મોહભંગ થયો છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ બંને પાટીદાર આગેવાનો કેસરિયા કરે તેવા સંકેતો છે.
વર્ષ 2022માં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ભાવનગરના ગારીયાધારમાં આયોજિત આમ આદમી પાર્ટીની જનસભા દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને બંનેને ખેસ પહેરાવી વિધિવત પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો હતો. અલ્પેશ કથરીયા આપ દક્ષિણ ઝોનના કાર્યકરી પ્રમુખ હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં આપમાં જોડાયા બાદ અલ્પેશ કથીરિયા સુરતની વરાછા રોડ અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે, આ ચૂંટણીમાં બંનેની હાર થઈ હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp