ગુજરાતની રાજનીતિમાં આવ્યો હડકંપ!? આ પાર્ટીના મહિલા મોરચાના અધ્યક્ષને કારણ જણાવ્યા વગર કરાયા સસ્પેન્ડ? આ વ્યક્તિના આદેશથી, જાણો વિગતે
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ભારે ચહલ-પહલ વધી ગઈ છે. એક બાજુ પક્ષમાંથી રાજીનામાં પડી રહ્યાં છે તો એક બાજુ પક્ષમાંથી દૂર કરવામાં આવી રહ્યાં છે. આ બધાની વચ્ચે એવી વિગતો સામે આવી છે કે, ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો.જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ડો.જ્યોતિબેન પંડ્યા ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ હતા. જેમને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલની સૂચનાથી પક્ષના તમામ હોદ્દાથી દૂર કરાયા છે. વડોદરામાં રંજનબેનની ત્રીજીવાર ભાજપ ટિકિટ આપતા વિવાદ વકર્યો છે. જણાવીએ કે, ડૉ.જ્યોતિબેન પંડ્યાએ લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી રંજનબેનને ટિકિટ આપતા ડૉ.જ્યોતિબેન પંડ્યાએ સવાલ ઉઠાવ્યા હતા.
ડૉ.જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, શહેર જેને પસંદ નથી કરતું પાર્ટીએ તેને ટિકિટ આપી છે. વારાણસીની જેમ વડોદરાનો ક્યારે વિકાસ થશે ? તેમણે બળાપો કાઢતા કહ્યું હતું કે, રંજનબેનને ત્રીજી વખત કેમ ટિકિટ આપવામાં આવી? હું લોકસભા ઉમેદવાર માટે લાયક છું. મે સવારે પાર્ટી છોડવા મુદ્દે હાઈકમાન્ડને જાણ કરી છે. હું છેલ્લા 30 વર્ષથી સક્રિય કાર્યકર છતાં પાર્ટીએ મને ટિકિટ ન આપી. રંજનબેનને ત્રીજી વખત ટિકિટ આપવાની પક્ષની એવી કઈ મજબૂરી હશે તે ખ્યાલ નથી આવી રહ્યો.'
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ થોડા સમય અગાઉ વડોદરાનો વિકાસ રૂંધાયો હોવાની વાત કરી હતી. ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, અમદાવાદની સુરતની વચ્ચે હોવા છતા વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું.
જ્યોતિબેને આ વર્ષે અને પાંચ વર્ષ પહેલા 2019માં પણ વડોદરા લોકસભા બેઠક પરથી લોકસભાની ટિકિટની માંગી હતી. ભાજપ દ્વારા લોકસભાની ટિકિટ ન મળવા અને રંજનબેન ભટ્ટને ફરી ટિકિટ આપવાને લઈને નારાજ થયેલા ડૉ. જ્યોતિબેન પંડ્યા લોકસભા લડશે તેવા સમાચાર મળી રહ્યા છે. ડૉ. જ્યોતિબેન પંડ્યા કોંગ્રેસ અથવા અપક્ષમાંથી ચૂંટણી લડે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે જો હવે જ્યોતિબેન ચૂંટણી લડે તો વડોદરા બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળી શકે છે.
વડોદરા બેઠક પર જ્યાં રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા છે તે બેઠક પર અગાઉ વડાપ્રધાન મોદી પણ ચૂંટણી લડ્યા હતા. તેમણે પોતાની બેઠક ખાલી કરીને વારાણસીની બેઠક જાળવી રાખતા વડોદરામાં પેટા ચૂંટણી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં ભાજપે રંજનબેન ભટ્ટને ટિકિટ આપી હતી. રંજનબેન ભટ્ટ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના તત્કાલિન શહેર પ્રમુખ નરેન્દ્ર રાવત સામે જંગી બહુમતીથી ચૂંટાયા હતા.
ડૉ.જ્યોતિબેન પંડ્યા વડોદરા શહેરના ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટના સંદર્ભમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. જેને લઇને ભાજપ દ્વારા તેમની તાત્કાલિક ધોરણે હકાલપટ્ટી કરવામાં આવી છે. જેમાં ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાજપના મધ્ય ઝોન પ્રવક્તા ડો. જ્યોતિબેન પંડ્યાને ભાજપ પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્ય ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ પંડ્યા દ્વારા આજે જાહેર કરાયેલી એક નોંધ અનુસાર, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની સૂચના પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, ભાજપે સસ્પેન્ડ કરવા પાછળનું કારણ જાહેર કર્યું નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp