લોકસભા ચુંટણી ટાણે પાટીદારોએ ફરી ગરમાવ્યું રાજકારણ, જાહેરમંચ પર લીધા સપથ કે- થયેલા અત્યાચારનો બદલો લેવા...., જાણો શા માટે?
લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચુકી છે. ગુજરાતની બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાતની સાથે ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. ત્યારે પાટીદાર અનામત આંદોલનનો મુદ્દે ફરી એકવાર ગૂંજતો થયો છે. ખાસ કરીને પાટણ લોકસભા બેઠક પર પાટીદાર અનામતનો મામલો ઉભો કરવામાં આવ્યો છે. પાટીદારો પર થયેલા અત્યાચારનો બદલો લેવાનો અહ્વાન કરતો વીડિયો વાયરલ થયા બાદ હાલ રાજકારણ ગરમાયું છે.
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, જાહેરસભામાં પાટીદારો દ્વારા કોંગ્રેસને મત આપવા સદારામ, મા ઉમિયા તેમજ ખોડલ માના સોગંધ લેવામાં આવ્યાં છે. પાટીદાર અનામત આંદોલનનો બદલો લેવા માટે જાહેરસભામાં આ સોગંધ લેવામાં આવ્યાં છે. મંચ પરથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ એ જ ભાજપ છે જેના લીધે પાટીદાર યુવાનો શહીદ થયા હતા. છતાં ભાજપે કોઈ વચનો પુરા કર્યા નથી. તેથી તેનો બદલો લેવા માટે આ વખતે પાટણમાં ભાજપના ઉમેદવારને હરાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મત આપી બદલો લેવાના સોગંધ પાટીદારોએ લીધાં છે.
એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં ભાજપનો કોઈ આગેવાન પાટીદારોને પૂછવા પણ આવ્યો નથી. કોઈ રજૂઆત પણ સાંભળવામાં આવતી નથી. અમારા પ્રશ્નોને કોઈ વાચા આપી રહ્યું નથી. તેથી અમે ભાજપ અને તેના ઉમેદવારનો વિરોધ કરીએ છીએ. એક પાટીદાર 100 વોટમાં પરિવર્તન કરે તેવા શપથ મંચ પરથી લેવામાં આવ્યાં છે.
કોંગ્રેસથી પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલન વખતે હું પાસનો કન્વીનર હતો, ધારાસભ્ય નહોતો ત્યારે ભાજપ સરકારના ખાસ કરીને નીતિન પટેલ સહિતના પાટીદાર મંત્રીઓએ વચનો આપ્યા હતાં. પાટીદારોને કોઈ પ્રકારે અન્યાય નહીં થાય તેવી ખાતરી અપાઈ હતી. પણ બાદમાં બધુ ભુલાઈ ગયું. પાટીદાર સમાજ પર થયેલાં અત્યાચારને અમે ભુલ્યા નથી અને તેનો જવાબ હવે પાટીદારો ચૂંટણીમાં આપશે. પાટણમાં પાટીદાર સમાજે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને જીતાડવા માટે સોગંદ લીધાં છે તે યોગ્ય છે. અહીં કોઈપણ રીતે ભાજપના ઉમેદવારને હરાવવો એ જ અમારો ધ્યેય છે.
પાટીદાર નેતા, રેશ્મા પટેલે પણ કહ્યું હતું કે, ભાજપે લોકોની માંગ પુરી કરી નથી. પાટણના દિલમાંથી જે આગ નીકળી છે તે સમાજના પ્રેમ પ્રત્યે નીકળી છે. પાટીદાર સમાજ ભોળો સમાજ છે. હું આમ આદમીમાં છું તો પણ પાટીદાર સમાજ મારી સાથે છે. ભાજપને એનકેન પ્રકારે પરાસ્ત કરવું પડશે. ભાજપને સત્તાનું અભિમાન છે. વિપક્ષના નેતા પર ભાજપ ખોટા કેસો કરીને હેરાન કરે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp