કેન્દ્ર સરકાર લાવી રહી છે અનોખી યોજના : ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાના ચલણના પૈસાનો થશે આવો ઉપયોગ
બિઝનેસ ડેસ્ક: માર્ગ અકસ્માતો આજકાલ સામાન્ય બની ગયા છે. જેમ-જેમ લોકો ઓટોમોબાઈલ ખરીદી રહ્યા છે, તેમ માર્ગ અકસ્માતોની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. પહેલાના સમયમાં મધ્યમ વર્ગના ઘરમાં એક સ્કૂટર ખુબ મહત્વ ધરાવતું હતું. હાલમાં પરિવારના દરેક સભ્ય પાસે એક-એક ટુ-વ્હીલર છે ઉપરાંત ઘરના આંગણામાં કાર તો છે જ. વળી, લોકો પણ હવે વધુ બેદરકાર બન્યા છે. લોકો એટલા વ્યસ્ત બની ગયા છે કે, ટ્રાફિક સિગ્નલ પર 2 મિનિટ પણ ઉભા નથી રહી શકતા. ઘણા લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી, જયારે ઘણા લોકો દંડ ભરવાની બીકે ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે. તો અમુક લોકો ટ્રાફિકના નિયમોનું ભંગ કરીને મહાન કામ કર્યાનું ગૌરવ લે છે. આવા વલણના કારણે માર્ગ અકસ્માતો થવાના જ છે.કેન્દ્ર સરકાર ટ્રાફિક કાયદાનો ભંગ કરવા બદલ જનતા પાસેથી વસૂલવામાં આવતી દંડની રકમ જનતાના ભલા પર ખર્ચવાની તૈયારી કરી રહી છે. આ અનોખી યોજનામાં પ્રજાના પૈસાથી જનતાનો જીવ બચશે. તેના માટે એક ખાસ ફંડ બનાવવામાં આવશે.
આ નાણાંનો ઉપયોગ જિલ્લા, પંચાયત અને પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના (PMGSY)ના રસ્તાઓની સુરક્ષાને મજબૂત કરવા માટે કરવામાં આવશે. તેમજ આગામી તબક્કામાં આ ભંડોળમાંથી માર્ગ અકસ્માતમાં ઘાયલોને મફત સારવારની સુવિધા પણ શરૂ કરી શકાય છે.માર્ગ પરિવહન મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે સ્વર્ણિમ ચતુર્ભુજ (5846 કિમી) યોજના પર મફત સારવાર શરૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં માર્ગ અકસ્માતમાં ઘાયલોને 30 હજાર રૂપિયા સુધીની મફત સારવાર મળશે. તેમણે કહ્યું કે, ઉપરોક્ત યોજના તબક્કાવાર અમલમાં છે, તે રાજ્ય ધોરીમાર્ગો અને અન્ય માર્ગ પ્રવાસીઓ માટે શરૂ કરી શકાશે.
દેશના અન્ય રસ્તાઓના આ વિશાળ નેટવર્કની માર્ગ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે અનોખી યોજના છે. જેમાં ટ્રાફિક પોલીસ, ટ્રાન્સપોર્ટ વિભાગ અને અન્ય એજન્સીઓ દ્વારા કાયદો તોડનારાઓ પાસેથી એકત્ર કરાયેલા નાણાં યોગ્ય માર્ગે ખર્ચવાની યોજના છે. આ ઉપરાંત પ્રવાસન અને પરિવહન પરની સંસદીય સ્થાયી સમિતિએ માર્ગ પરિવહન મંત્રાલયને પણ આ દિશામાં કામ કરવાનું સૂચન કર્યું છે. મંત્રાલયે સમિતિને તેનો અમલ કરવાની ખાતરી આપી છે.અધિકારીએ કહ્યું કે યોજના હેઠળ દંડની રકમ રોડ સેફ્ટી ફંડમાં જમા કરવામાં આવશે. આ રકમથી રસ્તાઓ પર બ્લેક સ્પોટ, ડિવાઈડર, રોડ સાઈન, ખાડા, ક્રેશ બેરિયર, સાઈન બોર્ડ વગેરે લગાવવામાં આવશે. આ ઉપરાંત જરૂર પડશે તો અંડરપાસ-ઓવરપાસ, ઈન્ટરચેન્જ વગેરેનું નિર્માણ કરવામાં આવશે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દર વર્ષે દેશના અન્ય માર્ગો કરતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાજ્ય ધોરીમાર્ગો (SH) પર વધુ અકસ્માતો થાય છે. 2019ના આંકડા મુજબ, રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અકસ્માતોમાં 53,872 મુસાફરો (35%), રાજ્ય ધોરીમાર્ગો પર 38472 લોકો (25%) અને અન્ય માર્ગો પર 58,769 લોકો (38%) મૃત્યુ પામ્યા હતા. ઇજાગ્રસ્તોની ટકાવારી પણ અન્ય રસ્તાઓ કરતાં વધુ છે. આનું કારણ એ છે કે દેશના કુલ રોડ નેટવર્ક લગભગ 60 લાખ કિમીમાં NH નેશનલ હાઇવે 2.1%, SH સ્ટેટ હાઇવે 3.1% અને અન્ય રસ્તાઓ 94.96% હિસ્સો ધરાવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp