19 વર્ષો બાદ રણજીતસિંહ હત્યા કેસનો ચુકાદો આવ્યો : ગુરમીત રામ રહીમને આજીવન કેદની સજા
પંચકુલા: ડેરા સચ્ચા સૌદાના પૂર્વ મેનેજર રણજીત સિંહ હત્યા કેસમાં ડેરાના પ્રમુખ ગુરમીત રામ રહીમ અને અન્ય 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 19 વર્ષ બાદ સોમવારે રણજીત સિંહ હત્યા કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો હતો. પંચકુલાની સ્પેશિયલ CBI કોર્ટે રામ રહીમ અને અન્ય 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
ગુરમીત રામ રહીમને આ કેસમાં કોર્ટ દ્વારા પહેલાથી જ દોષિત ઠેરવવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે કોર્ટે તેની સજાની જાહેરાત કરી ન હતી. રામ રહીમ પહેલાથી જ સાધ્વીઓ પર બળાત્કાર અને પત્રકારની હત્યાના કેસમાં જેલમાં સજા કાપી રહ્યો છે. ત્યારે વધુ એક કેસમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
12 ઓક્ટોબરના રોજ સુનાવણી દરમિયાન ગુરમીત રામ રહીમ અને કૃષ્ણલાલના વકીલોની દલીલો પૂરી થઈ હતી. સાથે જ આજની કાર્યવાહી દરમિયાન અન્ય લોકો જસબીર, સબદિલ અને અવતારના વકીલોની દલીલો પણ પૂર્ણ થઈ છે. જે બાદ સીબીઆઈની વિશેષ કોર્ટે રણજિત હત્યા કેસમાં સજાની જાહેરાત કરી હતી. સજાની સાથે કોર્ટે ગુરમીત રામ રહીમને 31 લાખ રૂપિયાનો દંડ અને અન્ય 4 આરોપીઓને 50 હજારનો દંડ ફટકાર્યો હતો.
સજાની જાહેરાત પહેલા જ શહેરની સુરક્ષાને ધ્યાનમાં લેતા જિલ્લા વહીવટીતંત્રે સમગ્ર જિલ્લામાં કલમ-144 લાગુ કરી દીધી હતી. પંચકુલાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મોહિત હાંડા દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે રામ રહીમ સહિત 5 દોષિતોને સજા આપવાની જાહેરાતને કારણે જિલ્લામાં કોઈપણ પ્રકારના તણાવ, શાંતિમાં ખલેલ અને રમખાણોની આશંકાને જોતા કલમ 144 લાગુ કરવામાં આવી છે.
રણજીતસિંહની હત્યા વર્ષ 2002 માં થઇ હતી. આ મામલે 2003 માં એફઆઈઆર નોંધ્યા બાદ સીબીઆઈ તપાસ કરી રહી હતી અને સીબીઆઈ સ્પેશિયલ કોર્ટમાં જ કેસ ચાલ્યો હતો. ઘટનાના 19 વર્ષ બાદ આ મહિનાની શરૂઆતમાં જ રામરહીમ સહિતના આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp