નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરની (Corona Third Wave) અસર હજુ સંપૂર્ણ ઓછી નથી થઇ ત્યાં ત્રીજી લહેર અંગે ચર્ચા પણ શરૂ થઇ ગઈ છે. હૈદરાબાદ યુનિવર્સીટીના પ્રો વાઈસ ચાન્સેલર અને વરિષ્ઠ ભૌતિક શાસ્ત્રી વિપિન શ્રીવાસ્તવે દાવો કરતા કહ્યું છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ ચુકી છે. તેમણે ભારતમાં કોરોનાની વર્તમાન સ્થિતિને આધારે દાવો કર્યો છે કે દેશમાં ૪ જુલાઈથી જ ત્રીજી લહેરની શરૂઆત થઇ ચુકી છે.
વૈજ્ઞાનિક વિપિન શ્રીવાસ્તવે છેલ્લા ૪૬૩ દિવસના દેશમાં કોરોનાના નવા કેસ અને તેનાથી થતા મૃત્યુની સંખ્યાની પેટર્નનું નિરીક્ષણ કરવા માટે એક વિશેષ પદ્ધતિ તૈયાર કરી છે. જેના આધારે તેમણે દાવો કરતા કહ્યું કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર ૪ જુલાઈથી જ શરૂ થઇ ચુકી છે. તેમણે કહ્યું કે ૪ જુલાઈની સ્થિતિ એવી જ છે જે આ વર્ષના ફેબ્રુઆરીના શરૂઆતમાં દેખાતી હતી, જ્યારે કોરોનાની બીજી લહેરની ભારતમાં શરૂઆત થઇ ચુકી હતી.
તેમના વિશ્લેષણ અનુસાર, જ્યારે પણ દૈનિક મૃત્યુના આંકડા વધવાની જગ્યાએ ઘટવા તરફ વધે છે અથવા તેનાથી વિપરીત ક્રોસઓવર થાય છે તો ડેઈલી લોડમાં ઝડપથી ફેરફાર થવા માંડે છે.
તેમણે ન્યુઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં DDL માં આ જ પ્રકારના ઉતાર-ચડાવ જોવા મળ્યા હતા. ત્યારે દૈનિક મૃત્યુ ૧૦૦ અથવા તેનાથી પણ ઓછા નોંધાતા હતા અને આપણે નચિંત થઈને માની રહ્યા હતા કે કોરોના મહામારી ખતમ થઈ ગઈ. પરંતુ ત્યારપછી જે થયું એ વધુ વિનાશકારી હતું. આ જ પ્રકારનો ટ્રેન્ડ ૪ જુલાઈથી જોવા મળી રહ્યો છે.
તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો લોકોએ કોરોના પ્રોટોકોલનું પાલન ન કર્યું તો ત્રીજી લહેર રફતાર પકડી શકે છે. નોંધનીય છે કે હાલ દેશમાં કોરોનાની બીજી લહેર શાંત થતા લોકો બેફામ થઈને નીકળી પડ્યા છે અને હિલ સ્ટેશનો અને અન્ય પ્રવાસન સ્થળોએ ભીડ એકઠી કરતા જોવા મળ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આ અંગે ચેતવણી આપી છે અને નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.