ફોર્મ ભરતા પહેલા ઉમેદવારો ભગવાનના શરણે, રૂપાલાએ મહાદેવને નમાવ્યું શીશ, તો..
ચૂંટણી પંચે દેશભરમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે. 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ગઈ કાલ બાદ આજે (મંગળવાર) પણ રાજ્યની ઘણી બેઠકો પર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવાના છે. આજે કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ, અમરેલી, છોટા ઉદેપુર, વલસાડ, પંચમહાલ અને પોરબંદરના કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે. રાજકોટ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા પાટણ બેઠકના ભાજપના ઉમેદવારો ફોર્મ ભરશે. એ અગાઉ ઉમેદવારો ભગવાનના શરણે પહોંચ્યા છે.
રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે. રૂપાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોકે પહોચ્યા હતા. રૂપાલા ટૂંક સમયમાં જંગી સભાને સંબોધવાના છે.
નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભા સીટના ધારાસભ્ય અનંત પટેલને વલસાડ લોકસભા સીટ પરથી કોંગ્રેસેના ઉમેદવાર જાહેર કર્યા બાદ આજે ચૈત્ર નવરાત્રીની પવિત્ર આઠમના દિવસે અનંત પટેલ ઉનાઈમાં આવેલા યાત્રાધામ મા ઉષ્ણ અંબાના તેમજ હાલમાં સ્વર્ગવાસી માતાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ સમર્થકો સાથે વલસાડ જવા રવાના થયા હતા. વલસાડ-ડાંગ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ આજે ઉમેદવારી નોંધાવશે. તેમજ વલસાડ કોંગ્રેસ કાર્યાલય બહાર જંગી સભાને સંબોધન કરશે.
અમરેલી બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મર આજે ઉમેદવારી ફોર્મ ભરશે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કુળદેવીના આશિર્વાદ લીધા હતા. પોતાના વતન કુકાવાવના વાવડી ગામ ખાતે ઠુમર પરિવારના કુળદેવી માતાજીના મંદિર પર ધ્વજા ચડાવી પૂજન કર્યું હતું. વાવડી ગામના લોકોએ વડીલોએ કુમકુમ તિલક કરી જેની બેનને આશીર્વાદ આપ્યા હતા. કુળદેવી મંદિર પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિથી સજોડે વિજય યજ્ઞ કર્યો હતો. પૂજન અને હવન બાદ જેની બેને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp