ગુજરાતમાં દસ્તાવેજ નોંધણીના નિયમોમાં આવશે આ ફેરફાર, જે અટકાવશે મિલકતો અંગેના ગોટાળા, જાણો ક્યારથી અમલી
દસ્તાવેજએ કોઈપણ મિલકતનો સૌથી મહત્ત્વનો અને પાવરફૂલ પુરાવો માનવામાં આવે છે. તેના આધાર પર જ મિલકતનો માલિકી હક નક્કી થતો હોય છે. ત્યારે નિયમો સાથે છેડછાડ કરીને ઘણાં ભેગાબાજો ગેરરીતિ આચરતા આવ્યાં છે. તેથી હવે ગુજરાત સરકારે દસ્તાવેજના નિયમોમાં ધરમૂળથી ફેરફાર કરવાનું નક્કી કરી લીધું છે. આખો પ્લાન તૈયાર છે, આગામી 1 એપ્રિલથી ગુજરાત સરકારના નવા અને કડક નિયમો લાગૂ થઈ જશે. રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણીના નિયમમાં ફેરફાર કરતો પરિપત્ર નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.
આ ફેરફારમાં હવે દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબર આપવા ફરજિયાત દર્શાવાયું છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, દસ્તાવેજ નોંધણી સમયે અત્યાર સુધી કોઇપણ દસ્તાવેજ રજૂ કરતી વ્યક્તિએ દસ્તાવેજ ઉપર પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આંગળાની છાપ લગાડવાની તેમજ નોંધણી અર્થે રજૂ થતા સ્થાવર મિલકતની તબદિલીના લેખ સંબંધમાં દરેક લખી આપનાર અને લખાવી લેનારની અંગુઠાની છાપ તથા પાસપોર્ટ સાઇઝના ફોટા લગાડવાની જોગવાઇ કરવામાં આવી હતી. હવે આ જોગવાઇમાં જરૂરી સુધારા કરવાના હોવાથી નવી સૂચનાઓ રાજ્યની દરેક સબ રજિસ્ટ્રાર કચેરીઓને આપવામાં આવી છે.
મહેસૂલ વિભાગ દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, અત્યાર સુધી દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબરની નોંધણી કરવામાં આવતી ન હતી પરંતુ હવે તા.૧ એપ્રિલથી દસ્તાવેજ નોધણીમાં દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબર ફરજિયાત કરવામાં આવ્યા છે. આ સાથે એક ફોર્મનું ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે. જેના આધારે સમગ્ર વિગતો ભરવા તાકીદ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આ પરિપત્રની નકલ સમગ્ર રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓને પહોંચાડી તા.૧ એપ્રિલથી એટલે કે, નવા નાણાંકીય વર્ષથી તેનો અમલ ફરજિયાત કરાવવાનું જણાવાયું છે.
રાજ્યમાં સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં સ્થાવર મિલકતની તબદિલી સંબંધિત નોંધણી થતા દસ્તાવેજોમાં મૂળ માલિકોને બદલે બેનામી માણસોને મિલકતના મૂળ માલિકો તરીકે રજૂ કરી બોગસ દસ્તાવેજોની નોંધણી થવાની ઘટનાઓ ધ્યાને આવી હતી. જે અંગે તંત્રને મોડે મોડે પણ જ્ઞાન આવ્યું હતું અને આ અંગે બચાવ કર્યો હતો કે, આવા બનાવટી દસ્તાવેજો અને બોગસ દસ્તાવેજો રદ કરાવવા માટે મિલકતના મૂળ માલિકોને ન્યાયિક પ્રક્રિયાના નિવારણ માટે નાણાં અને સમયનો વ્યય થતો હતો. જેથી આવા બોગસ તેમજ બનાવટી દસ્તાવેજોની નોંધણીના કિસ્સા નિવારવા માટે સુધારા કરવા જરૂરી હતાં.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp