ગણપતિ બાપ્પાની વિદાય બાદ હવે ભાદરવા શ્રાદ્ધની તિથી ચાલુ થઇ ગઈ છે. હિંદુ ધર્મમાં શ્રાદ્ધનું મહત્વ ઘણું વધારે છે. જેમાં ભાદરવા માસના છેલ્લા પખવાડિયા દરમિયાન શ્રાદ્ધવિધિ કરવામાં આવે છે. જયારે કાર્તિકેય અને ગણપતિ બંને દ્વારા શરત લગાડવામાં આવી હતી કે, કોણ સૌથી પહેલા બ્રહ્માંડની પ્રદક્ષિણા પૂરી કરી શકે?! જેમાં કાર્તિકેય તો પોતાના મોરની સવારીએ ચડીને સમગ્ર બ્રહ્માંડની પ્રદક્ષિણાએ નીકળી ગયા હતા, પરંતુ ગણપતિએ તેમના માતા પિતાને વચ્ચે બેસાડી ચાર વાર પ્રદક્ષિણા કરીને એ સાબિત કર્યું છે કે, માતા પિતામાં જ સમગ્ર બ્રહ્માંડ સમાયેલું છે.
ભારતીય સંસ્કૃતિમાં આજે પણ લોકો માતાપિતાનો અને પોતાના પૂર્વજોનો આદર કરે છે. ફક્ત જીવતેજીવ નહિ પરંતુ મૃત્યુ બાદ પણ તેમની આત્માને સદગતિ પ્રાપ્ત થાય તેના માટે તમામ પૂજા અર્ચના અને વિધિ કરે છે. તેમની તૃપ્તિ માટે જે કાર્ય કરવામાં આવે છે તેને 'શ્રાદ્ધ'(shradh) તરીકે ઓળખવામાં આવે છે. ૧૬ દિવસના આ સમયગાળા દરમિયાન લોકો પવિત્ર નદીના કાંઠે બ્રાહ્મણો અને પુજારીઓ મારફતે પિતૃકાર્ય કરાવે છે. જેથી પિતૃને મોક્ષની પ્રાપ્તિ થાય.
ભારતીય સમુદાયમાં લોકોની પહેલાથી જ દીકરા પ્રત્યે વધારે લાગણી હોય છે. આ લાગણી પાછળનું કારણ એ છે કે, તેમના મૃત્યુ બાદ તેમના દીકરા દ્વારા તેમની તમામ વિધિઓ બરાબર થાય અને તેમને શાંતિ મળે. ગરુડપુરાણમાં પણ શ્રાદ્ધ માટે લખવામાં આવ્યું છે કે, પિતૃઓ પાછળ શ્રાદ્ધકર્મ કરવાથી તેઓ આયુષ્ય, પુત્ર, યશ, મોક્ષ, સ્વર્ગ, કીર્તિ, પુષ્ટિ, બળ, વૈભવ, સુખ અને ધનધાન્ય અર્પે છે. આ દરમિયાન બ્રાહ્મણઓને ભોજન જમાડવામાં આવે છે. એવી માન્યતા છે કે બ્રાહ્મણઓને ભોજન જમાડવાથી પિતૃઓની જઠરાગ્ની શાંત થાય છે. હિન્દુ શાસ્ત્રોમાં મૃત્યુના દેવ યમરાજાએ સ્વયં શ્રાદ્ધનું મહત્વ સમજાવ્યું છે.
૧ શ્રાદ્ધના પખવાડિયા દરમિયાન ફક્ત શાકાહારી ભોજન ગ્રહણ કરાય છે. ગરીબ લોકોને પણ ભોજન આપવામાં આવે છે. ગાય, કુતરા, કાગડા, અને કીડી માટે પણ ભોજનનો અમુક હિસ્સો કાઢવામાં આવે છે.
૨ શ્રાદ્ધની તમામ વિધિઓમાં પંચામૃતનો ઉપયોગ થાય છે જેમાં પાંચ વસ્તુનો ઉપયોગ થાય છે દૂધ, દહીં, ઘી, મધ અને સાકર. મોટા ભાગે આ તમામ સામગ્રી ગાયની જ હોય છે. પરંતુ જે ગાયે તાજેતરમાં વાછરડાને જન્મ આપ્યો હોય તેના દૂધનો ઉપયોગ થતો નથી.
૩ શ્રાદ્ધ વખતે ચાંદીના વાસણોમાં ભોજન ઉત્તમ ગણાય છે. શ્રાદ્ધ વિધિમાં ચાંદીના વાસણને શુભ માનવામાં આવે છે. માન્યતા મુજબ ચાંદી દુષ્ટ શક્તિઓનો નાશ કરે છે. આ ઉપરાંત કાંસા અને તાંબાના વાસણો પણ શુભ મનાય છે.
૪ હવન દરમિયાન જવ અને તલ હોમવામાં આવે છે. જેમાં તલને અત્યંત શુભ મનાય છે. હિન્દુ માન્યતા અનુસાર, તલ દુષ્ટ શક્તિઓ સામે રક્ષણ આપે છે, અને સારા નસીબ લાવે છે.
૫ બ્રાહ્મણોને જમાડતી વખતે ખીર પહેલા જમાડાય છે. કારણકે ખીર દરેક હિન્દુ વિધિનો અનિવાર્ય ભાગ છે.