કોરોનાની ગતિ બરકરાર : 24 કલાકમાં 21 ટકાના વધારા સાથે 1.41 લાખ કેસ, મહારાષ્ટ્ર-દિલ્હીમાં સૌથી વધુ
નેશનલ ડેસ્ક: ભારતમાં કોરોનાનાં નવા કેસનો આંકડો તેજ ગતિએ વધી રહ્યો છે. આજે ગઈકાલ કરતા 21 ટકા વધુ કેસ નોંધાતા દૈનિક કેસનો આંકડો દોઢ લાખ નજીક પહોંચી ગયો હતો. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં નવા 1 લાખ 41 હજાર 986 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 40,895 લોકો સાજા થયા છે તો કોરોનાનાં કારણે વધુ 285 મૃત્યુ નોંધાયા છે.
ભારતમાં હાલ પોઝીટીવીટી રેટ 9.28 ટકા જેટલો છે. દેશમાં 4 લાખ 72 હજાર 169 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે અત્યાર સુધીમાં 4 લાખ 83 હજાર 178 લોકોનાં મોત થઇ ચૂક્યા છે. નવા આંકડા સાથે સંક્રમિત લોકોની સંખ્યા 3 કરોડ 53 લાખ 68 હજાર 372 થઇ ચૂકી છે.
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર અને દિલ્હીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેરળ, પશ્ચિમ બંગાળ, ગુજરાત જેવા રાજ્યોમાં પણ કોરોનાનાં કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. દિલ્હીમાં ગઈકાલે આઠ મે બાદ એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા હતા. ગઈકાલે દિલ્હીમાં નવા 17,335 કેસ સાથે સંક્રમણ દર 17.73 ટકા પર પહોંચ્યો છે.
મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાનાં 40,925 કેસ નોંધાયા હતા. આ સંખ્યા ગુરુવાર કરતા 4,660 જેટલી વધુ છે. જ્યારે સંક્રમણનાં કારણે 20 મૃત્યુ પણ નોંધાયા હતા. ગઈકાલે નોંધાયેલા કેસમાંથી અડધા કેસ માત્ર મુંબઈમાં નોંધાયા હતા. જોકે, એક રાહતની વાત એ છે કે સંક્રમિત દર્દીઓમાંથી કોઈ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું ન હતું. મુંબઈમાં કાલે નવા 20,927 કેસ નોંધાયા હતા, જે આગલા દિવસ કરતા 790 અંક વધુ છે.
ગુજરાત પણ કોરોનાની ઝપટે ચડી ગયું છે. ગઈકાલે રાજ્યમાં કોરોનાનાં નવા 5,396 કેસ નોંધાયા હતા. જ્યારે સાથે 1158 લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી તેમજ એક મોત નોંધાયું હતું. જેમાં અમદાવાદમાં 2,311, સુરતમાં 1,452, વડોદરામાં 281 અને રાજકોટમાં 272 કેસ નોંધાયા હતા.
વધતા કેસને લઈને રાજ્ય સરકારે ગાઈડલાઈનમાં ફેરફાર કરીને વધુ નિયંત્રણો લાગુ કર્યા છે તેમજ ધોરણ એકથી નવ માટે શાળાઓમાં ઓફલાઈન વર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલ ગાઈડલાઈન અંગે વિસ્તુત અહેવાલ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp