માલદિવ્સના પ્રમુખ મુઈઝ્ઝુએ ફરી ઓક્યું ભારત વિરુદ્ધ ઝેર, કહ્યું- 10 મે પછી ટાપુ પર એક પણ ભારતીય..., જાણો વિગતે
ભારત વિરોધી વલણને વળગી રહેતા માલદિવ્સના પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુએ મંગળવારે દાવો કર્યો હતો કે, ભારતના એક પણ સૈનિકને, સાદાવેશમાં પણ ૧૦ મે પછી ટાપુ પર રહેવા નહીં દઈએ. ભારતના સૈનિકોની તેના ટાપુઓ પરથી વિદાય નિશ્ચિત કર્યા પછી મુઈઝ્ઝુએ ભારતના દુશ્મન ચીન સાથે હાથ મિલાવ્યા છે. ચીને માલદિવ્સ સાથે સૈન્ય સહાય પૂરી પાડવાની સમજૂતી કરી છે.
ભારતીય સૈન્ય અધિકારીઓને પાછા બોલાવવા માટે માલદિવ્સ અને ભારત વચ્ચે નિશ્ચિત થયેલી ૧૦ માર્ચની ડેડલાઈન પહેલાં ભારતની એક સિવિલિયન ટીમ ટાપુ રાષ્ટ્રમાં ત્રણ એવિયેશન પ્લેટફોર્મમાંના એકનો ચાર્જ લેવા માટે પહોંચ્યાના એક સપ્તાહથી ઓછા સમયમાં મુઈઝ્ઝુએ આ નિવેદન કર્યું છે. અટોલના તેમના પ્રવાસ દરમિયાન બા અટોલ ઈધાફુસી કોમ્યુનિટીને સંબોધન કરતાં મુઈઝ્ઝુએ કહ્યું હતું કે, તેમની સરકારે ભારતીય સૈનિકોને દેશમાંથી હાંકી કાઢવામાં સફળતા મેળવી છે. ત્યારે દેશમાં કેટલાક લોકો ખોટી અફવાઓ ફેલાવે છે અને પરિસ્થિતિને નવો વળાંક આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
માલદિવ્સના એક ન્યૂઝ પોર્ટલે ચીન તરફી નેતા મુઈઝ્ઝુને કહેતા ટાંક્યા હતા કે, ભારતીય સૈનિકો હજુ દેશમાંથી ગયા નથી. તેઓ તેમનો યુનિફોર્મ બદલીને સાદા ગણવેશમાં પાછા ફર્યા છે. પરંતુ અમારા મનમાં એ બાબતે કોઈ શંકા નથી કે, અમે ૧૦ મે પછી આપણા ટાપુઓ પર ભારતના એક પણ સૈનિકને રહેવા નહીં દઈએ. ચીન સાથે મફત સૈન્ય સહાયનો કરાર કર્યાના બીજા જ દિવસે મુઈઝ્ઝુએ આ નિવેદન કર્યું હતું.
ગયા મહિનાના પ્રારંભમાં દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારત અને માલદિવ્સના વિદેશ મંત્રાલયે નિર્ણય કર્યો હતો કે, ભારતના સૈન્ય અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવતા ત્રણ એવિએશન પ્લેટફોર્મનું સંચાલન મે ૧૦ સુધીમાં ભારતીય સિવિલિયન દ્વારા કરવામાં આવશે અને આ પ્રક્રિયાનો પહેલો તબક્કો ૧૦ માર્ચે પૂરો થશે.
માલદિવ્સના ટાપુઓમાં ત્રણ ભારતીય પ્લેટફોર્મ્સ પર ૮૮ સૈનિકો છેલ્લા કેટલાક વર્ષોથી બે હેલિકોપ્ટર્સ અને એક ડોર્નિયર વિમાનનો ઉપયોગ કરી માલદિવ્સના લોકોને માનવીય, તબીબી અને ઈવેક્યુએશનની સુવિધા પૂરી પાડે છે. દરમિયાન ચીને માલદિવ્સ સાથે મફત સૈન્ય સહાયતા પૂરી પાડવાના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરનારી સમજૂતી તરીકે રજૂ કરવામાં આવે છે.
માલદિવ્સના સંરક્ષણ મંત્રાલયે તેના એક્સ હેન્ડલ પર પોસ્ટ કર્યું, મૌમૂન અને મેજર જનરલ બાઓકુને માલદિવ ગણરાજ્યને મજબૂત કરવા દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે ચીનની સૈન્ય સહાયતાની જોગવાઈ પર હસ્તાક્ષર કર્યા છે. જો કે, માલદિવ્સે આ સમજૂતી કરારની વિગતો આપી નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp