અમેરિકાની આર્થિક રાજધાની થઇ ઉંદરોથી પરેશાન, ઉંદરોને રોકવાના કેટલાય પ્રયોગો ગયા નિષ્ફળ ત્યારે હવે અજમાવશે..., જાણો વિગતે
અમેરિકાની આર્થિક રાજધાની તરીકે ઓળખાતા અને દુનિયાના સૌથી શાનદાર શહેરોમાં સ્થાન પામતા ન્યૂયોર્ક શહેરને ઉંદરોએ હેરાન પરેશાન કરી નાખ્યું છે. મોટી મોટી બિલ્ડીંગોથી ભરેલા આ શહેરમાં ઉંદરોની વસતીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરાંત તેમની વસતી રોકવા માટે અત્યાર સુધી કરવામાં આવેલા તમામ ઉપાયો નિષ્ફળ ગયા છે. અને તેથી જ ન્યૂયોર્કમાં ઉંદરોની વસતી 30 લાખનો આંકડો વટાવી ચુકી છે.
ન્યૂયોર્કમાં ઉંદરોની વસતીને કાબૂમાં લેવા માટે અત્યાર સુધી ઝેર, વિશેષ પ્રકારની જાળ તેમજ સૂકા બરફનો પણ ઉપયોગ થઈ ચુકયો છે. પરંતુ તેનાથી ઉંદરોની વસતીમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. ઉપરથી બીજા પ્રાણીઓ તેના લીધે જોખમમાં આવી ગયા છે. જેમ કે ન્યૂયોર્ક ઝૂમાંથી ભાગી ગયેલુ એક ઘૂવડ મૃત હાલતમાં મળી આવ્યું હતુ. તેના શરીરમાં ઉંદરો મારવાની ઝેરી દવા મળી આવી છે. જેના કારણે તંત્ર હવે ઉંદરોનો ખાત્મો બોલાવવા માટે બીજા વિકલ્પો અજમાવવા પર વધારે ભાર મૂકી રહ્યુ છે.
ન્યૂયોર્ક શહેરના શાસકો ઉંદરોની વસતી પર નિયંત્રણનો પ્રયોગ કરવાની વિચારણા કરી રહ્યા છે. આ માટે પહેલા એક પાયલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવશે. જેમાં ઉંદરોના જન્મદર પર કાબૂ કરી શકાય તેવી વિશેષ ગોળીઓ ઠેર ઠેર મુકવામાં આવશે. પાયલોટ પ્રોજેકટના ભાગરૂપે ઓછામાં ઓછા 10 બ્લોકને આવરી લેવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે, આ ગોળીઓને કોન્ટ્રાપેસ્ટ નામ આપવામાં આવ્યુ છે. ગોળીઓનો ટેસ્ટ ઉંદરોને ભાવે તેવો હોય છે. જેમાં ચરબી ભરવામાં આવતી હોય છે. આ ગોળીઓને ઉંદરોના વિસ્તારમાં ઠેર ઠેર મુકી દેવામાં આવશે. આ ગોળીઓ ઉંદરોમાં ગર્ભાધાનની પ્રક્રિયાને ટાર્ગેટ કરશે તેમજ શુક્રાણુઓને પેદા નહીં થવા દે. ગોળીઓનો સ્વાદ ઉંદરોને એટલો પસંદ આવશે કે તે બીજા કોઈ ભોજનની શોધમાં નહીં જાય.
ગોળીઓ બનાવનાર વૈજ્ઞાનિક ડો લોરેટા મેયરે પહેલા લેબોરેટરીમાં ઉંદરોને આ ગોળીઓ ખવડાવી હતી. ડો. મેયરે જણાવ્યુ હતુ કે, 'ગોળીઓ ઉંદરોને એટલી સ્વાદિષ્ટ લાગી હતી કે તેમણે કચરામાં મોઢુ મારવાની જગ્યાએ તેના પર જ પસંદગી ઉતારી હતી. આ ગોળીઓથી બીજા પ્રાણીઓ કે જાનવરો માટે ખતરો નથી. તેને ખાસ ઉંદરો માટે બનાવવામાં આવી છે.'
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp