ભાજપની ૪૦૦ને પારની રણનીતિમાં મહત્તમ બેઠકો ધરાવતા આ ચાર રાજ્યોની ભૂમિકા ..!? જાણો જાતિગત સમીકરણો
લોકસભાની ચુંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે દરેક રાજનૈતિક પાર્ટીઓ જોરશોરથી ચુંટણી પ્રચારમાં લગી ગઈ છે. ત્યારે આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપને ૪૦૦ને પર જવા માટેની વ્યૂહનીતિમાં આ ચાર રાજ્યો કર્ણાટક, રાજસ્થાન, હરિયાણા અને બિહારના રાજકીય અને સામાજિક સમીકરણો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં, ભાજપે લોકસભામાં 300નો આંકડો પાર કર્યો હતો, ત્યારે પાર્ટી અને તેના ગઠબંધનને આ ચાર રાજ્યોમાં 103માંથી 99 બેઠકો મળી હતી અને માત્ર ચાર જ બેઠકો વિપક્ષના ખાતામાં ગઈ હતી.
પરંતુ આ વખતે આ રાજ્યોમાં ભાજપને ન માત્ર પોતાના આંતરિક મામલાઓથી નિપટવાનું છે, સાથે ઘણી બેઠકો પર વિપક્ષ તરફથી મજબુત પડકાર મળવાની પણ શક્યતાઓ છે. ભાજપ આ ચૂંટણીમાં પણ ગત ચુંટણીના આંકડાને રિપીટ કરવા માંગે છે, પરંતુ ટિકિટ વહેંચણી, આયાતી ઉમેદવારોને ટિકિટ આપવી, નવા સાથી પક્ષો અને વિપક્ષની રણનીતિ જેવા મુદ્દાઓ સાથે ભાજપને ઘણાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ભાજપ માટે મહત્વ્ પૂર્ણ સાબિત થઇ શકે તેવા આ રાજ્યોમાં જીત મેળવવી એટલી આસન નહી હોય.
કર્ણાટકમાં ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે 28માંથી 25 બેઠકો જીતી હતી. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી કારમી હાર મળી હતી. આ લોકસભા ચૂંટણીમાં, ભાજપે જેડી(એસ) સાથે ગઠબંધન કર્યું છે, જેથી સામાજિક સમીકરણને સરળ બનાવી શકાય. જેડી(એસ)ના નેતા પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડા વોક્કાલિગા સમુદાયમાંથી આવે છે અને આ સમુદાય પર તેમનો ઘણો પ્રભાવ છે, બીજી તરફ, બીએસ યેદિયુરપ્પાને કારણે, રાજ્યના પ્રભાવશાળી લિંગાયત સમુદાયને ભાજપ સમર્થક માનવામાં આવે છે. પરંતુ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આ ઉપરાંત સદાનંદ ગૌડા, અનંત હેગડે અને નલિન કાતિલ જેવા તેના વર્તમાન સાંસદોની ટિકિટ કાપવાને લઈને ભાજપમાં અસંતોષ છે.
રાજસ્થાનમાં ગત ચૂંટણીમાં ભાજપે ગઠબંધનની 25 બેઠકોમાંથી પોતે 24 જીતી હતી અને તેમના તત્કાલીન સાથી આરએલપીએ એક જીતી હતી. અને રાજ્યની વિધાનસભામાં પણ ભાજપની સરકાર છે, પરંતુ બાંસવાડા, કોટા, બાડમેર, ચુરુ અને અલવરની લોકસભા બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો મજબૂત ટક્કર આપી રહ્યા છે. જેનાથી ભાજપના સમીકરણો બદલાય પણ શકે છે.
ભાજપે ગત ચુંટણીમા હરિયાણામાં તમામ 10 બેઠકો જીતી હતી. અને પાર્ટીએ હાલમાં જ મુખ્યમંત્રી બદલીને પોતાની વ્યૂહનીતિ પણ બદલી છે. અહીં ભાજપને આ વખતે કટ્ટર મુકાબલો જોવા મળી શકે છે. પાર્ટીએ કુરુક્ષેત્રમાં કોંગ્રેસના નવીન જિંદાલ, સિરસામાં અશોક તંવર અને તાજેતરમાં પાર્ટીમાં જોડાયેલા રણજીત ચૌટાલાને હિસારમાં ટિકિટ આપવાના કારણે પાર્ટીમાં નારાજગી જોવા મળી રહી છે. અહીં આયાતી ઉમેદવારોને ટિકિટ ભાજપ માટે માથાનો દુઃખાવો બની શકે છે.
બિહારમાં 2019ની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએએ 40માંથી 39 બેઠકો જીતીને મોટી સફળતા મેળવી હતી. અને આ વખતે પણ ભાજપનું એ જ પ્રકારનું ગઠબંધન છે. ઉપરાંત વધુ બે પક્ષો પણ સામેલ થયા છે. જો કે આ દરમિયાન આરજેડી પણ ઘણી મજબૂત બની છે. તેથી આરજેડી અને તેના સાથી પક્ષો ઘણી બેઠકો પર હવે પડકાર ફેંકી રહ્યા છે. સામાજિક જાતિગત સમીકરણ બિહારમાં ખૂબ મહત્વ ધરાવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp