પિતાએ બહેનપણીઓ સાથે બહાર ફરવા જવાની ના પાડતા 14 વર્ષીય વિદ્યાર્થીનીનો આપઘાત
સુરત: આજકાલ નાની-નાની વાતમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોય તેવા બનાવો છાપાંના પાને ચડતા રહે છે. ખાસ કરીને તરૂણો અને યુવાનોમાં આનું પ્રમાણ વધારે છે. સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, પરિવારે બહેનપણીઓ સાથે ફરવા જવાની ના પાડતા એક 14 વર્ષની કિશોરીએ ગળેફાંસો ખાઈ લીધો હતો અને જીવન ટૂંકાવી લીધું હતું.
આ બનાવ સુરતના પાંડેસરા વિસ્તારનો છે. અહીં કૈલાશનગરમાં રહેતી એક 14 વર્ષીય વિદ્યાર્થીનીને તેના પિતાએ બહાર ફરવા જવાની ના પાડી હતી. ત્યારબાદ પરિવાર જમીને ઉભો થયો ને દસ જ મિનીટમાં તરૂણીએ રૂમમાં જઈને મોતને વ્હાલું કર્યું હતું.
વધુ વિગતો અનુસાર, તરૂણી મકરસંક્રાતિના દિવસે રજા હોઈ બહેનપણીઓ સાથે બહાર ફરવા જવા માગતી હતી અને તેને લઈને તેણે પરિવાર સમક્ષ જીદ પકડી હતી. આજે પતંગો પણ ચગતા હોય છે તેમજ બીજી તરફ શહેરોમાં કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું હોવાના કારણે તેના પિતાએ તેને ઘરમાં જ રહેવા માટે કહ્યું હતું.
ભોજન દરમિયાન આ વાતચીત થયા બાદ પરિવાર જમીને ઉભો થયો અને તેની દસ મિનીટ બાદ જ તરૂણીએ રૂમમાં ફાંસો ખાઈ લીધો હતો. તેમના મા-બાપ ઘરની બહાર બેઠા હતા તે દરમિયાન બાળકોએ ઘરમાંથી બૂમાબૂમ કરતા અંદર જઈને જોતા તેમની દીકરી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી.
તરૂણીને નીચે ઉતારીને ડોકટરો પાસે લઇ જતા તેમણે તેને મૃત જાહેર કરી હતી. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને પરિવારની ફરિયાદના આધારે પોલીસે આપઘાતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp