પંચમહાલ: કોઈ વ્યક્તિ સામેની વ્યક્તિ કે સમૂહ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે એ સામાન્ય બની ચુક્યું છે પરંતુ કોઈ વ્યક્તિ ભૂત સામે ફરિયાદ નોંધાવે તેવી વિચિત્ર ઘટના પહેલીવાર બની છે. આ ઘટના ગુજરાતના જ પંચમહાલ જિલ્લાના એક ગામમાં બની છે.
રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાના જોટવડ ગામમાં આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ નામે વરસંગભાઈ બારિયાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે તેમને બે ભૂત પરેશાન કરી રહ્યા છે અને મારી નાંખવાની ધમકી આપી રહ્યા છે.
વરસંગભાઈએ અરજીમાં કહ્યું કે, તેઓ જોટવડ ગામે પરિવાર સાથે રહીને ખેતી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. એક દિવસે સવારે તેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે ભૂતોની ટોળકી આવી જેમાંથી બે ભૂતોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જ્યાંથી ભાગીને તેઓ પોલીસ સ્ટેશને આવી ગયા હોવાનું અને તેમનો જીવ બચાવવાનું કહ્યું હતું.
તેઓ ખેતરમાં કામ કરી રહ્યા હોય ત્યારે બે ભૂતો આવીને તેમને મારી નાંખવાની ધમકી આપે છે. વારંવાર બંને ભૂત આવે છે અને માનસિકરૂપે હેરાન કરી રહ્યા છે. તેમણે પોલીસને આ બાબતની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ પણ આ પ્રકારની ફરિયાદ સાંભળીને આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. જોકે, તેમ છતાં તેઓ તપાસ કરવા માટે ખેતરમાં ગયા હતા અને નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પોલીસે પરિવાર સાથે ચર્ચા કરી હતી, જ્યાંથી વરસંગભાઈ પોતે માનસિક રીતે બીમાર હોય તેમ જાણવા મળ્યું હતું. પરિજનોએ પોલીસને કહ્યું હતું કે, તેમને પણ એ બાબતની જાણ ન થઇ કે ક્યારે વરસંગભાઈ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. પોલીસે ત્યારબાદ વ્યક્તિના પરિવારને મનોચિકિત્સકનો સંપર્ક કરાવી આપ્યો હતો.
મનોરોગીઓમાં દેખાતા આ પ્રકારના લક્ષણોને મેડિકલની ભાષામાં સાઈકોસિસ કહેવામાં આવે છે જેમાં દર્દીને પોતાની આસપાસ કોઈ વ્યક્તિ હોવાનો ભ્રમ થતો રહે છે અને ક્યારેક અવાજો પણ સંભળાય છે.