‘તાઉ-તે’થી અસરગ્રસ્ત અગરિયાઓને પણ આર્થિક મદદની જાહેરાત : પ્રતિ એકર આટલા રૂપિયાની સહાય અપાશે
ગાંધીનગર: રાજ્યમાં ગત મહિને ત્રાટકેલા વાવાઝોડા ‘તાઉ-તે’ની માઠી અસર પહોંચી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રના ઉના, જાફરાબાદ વગેરે જિલ્લાઓમાં લોકોએ ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. લોકોને થયેલા નુકસાનના વળતર માટે સરકારે વિવિધ પ્રકારની આર્થિક સહાયની જાહેરાત કરી હતી તેમજ વડાપ્રધાન મોદીએ પણ ૧૦૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું.
હવે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં મીઠું પકવતા અગરિયાઓને થયેલ નુકસાન માટે પ્રતિ એકર રૂ. ૩૦૦૦ની આર્થિક સહાય આપવાની ઘોષણા કરી છે. તાઉ'તે વાવાઝોડા દરમિયાન અગરિયાઓને પણ નુકસાન થયું હતું. આ અંગે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માહિતી મેળવવામાં આવી હતી.
સરકારી અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગરિયાની ચિંતા કરીને તેમને પણ આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. ૧૦ એકર સુધીની જમીન ધરાવતા અગરિયાઓને થયેલા નુકસાનમાં પ્રતિ એકર રૂપિયા ૩૦૦૦ ની સહાય આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ અસર પહોંચાડી હતી. ઉના, જાફરાબાદ, મહુવા વગેરે ક્ષેત્રોમાં વસવાટ કરતા લોકોએ ખેતી તેમજ ઘરમાં પણ નુકસાન વેઠવું પડ્યું હતું. દરિયાકાંઠાના વિસ્તારોમાં જ મીઠું પકવવામાં આવે છે. જે અંગે સરકારે માહિતી મેળવતા અગરિયાઓને પણ નુકસાન થયાની વિગતો બહાર આવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp