સુરત: તાજેતરમાં જ ગયેલા ઈદના (Eid) તહેવાર ઉપર સુરત (Surat) શહેરમાં જાહેર રસ્તા ઉપર નમાઝ પઢવા બદલ લગભગ ૧૦૦ લોકોના ટોળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઈદ પહેલા પોલીસ વિભાગના અધિકારીઓએ મસ્જિદના ટ્રસ્ટીઓ સાથે બેઠક પણ કરી હતી અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના પણ આપવામાં આવી હતી. તેમ છતાં જાહેર રસ્તા ઉપર નમાઝ પઢવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના રાંદેરના ન્યુ ગોરાટ રોડ ઉપર મસ્જિદની બહાર બકરી ઈદના દિને જાહેર રસ્તા ઉપર નમાઝ પઢવામાં આવી હતી. આ મામલે સંજ્ઞાન લઈને પોલીસે મસ્જિદના મૌલાના સહિત ૧૦૦ જેટલા લોકો સામે ગુનો નોંધ્યો છે. આ અંગે મીડિયાના અહેવાલો જણાવે છે કે આ ટોળામાંથી ઘણાએ ન માસ્ક પહેર્યું હતું કે ન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ્સ અનુસાર, ઈદનો તહેવાર આવતો હોવાથી તે અગાઉ પોલીસ દ્વારા મસ્જિદના ટ્રસ્ટીઓ સાથે એક બેઠક કરી હતી, જેમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં નિયમો ભંગ કરતા રાંદેર પોલીસે જાતે જ ફરીયાદી બની ગુનો દાખલ કર્યો હતો.
પોલીસે ઐયુબ અલી સૈયદ, ઇકબાલ કુરેશી, નસરુદ્દીન ખાન, ઉસ્માન સૈયદ અને મકસુદ રાજવાણીની ધરપકડ કરી લીધી હતી. જાણવા મળ્યું છે કે મકસુદ રાજવાણી મસ્જિદના ટ્રસ્ટી જ્યારે નસરુદ્દીન ખાન મૌલાના છે.
ઉલ્લેખનીય છે કે ગત બુધવારે જ દેશભરમાં ઈદનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો.
(Photo Credit: The Indian Express)