કોરોનાનાં કેસ વધતા રાજ્યમાં નિયંત્રણો પણ વધશે : રાત્રિ કર્ફ્યુ સહિત આ નિયમોમાં ફેરફાર કરાશે
ગાંધીનગર: રાજ્યમાં સતત વધતા જતા કોરોનાનાં સંક્રમણને પગલે સરકાર એક પછી એક નિર્ણયો લેવા માંડી છે ત્યારે મીડિયાના અહેવાલો મારફતે જાણવા મળે છે કે હજુ નિયંત્રણો વધી શકે છે. આવતીકાલે સાતમી જાન્યુઆરીએ રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણોની મુદત પૂર્ણ થઇ રહી છે ત્યારે સરકાર આજે નવી ગાઈડલાઈન જાહેર કરશે.
રિપોર્ટ અનુસાર, કોરોનાની સ્થિતિને જોતા રાત્રિ કર્ફ્યુ રાત્રે 9 વાગ્યાથી શરૂ થઇ શકે છે અને સવારે 6 સુધી કરવામાં આવી શકે છે. હાલ આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાગુ કરવામાં આવ્યો છે, જેમાં વધારો થઇ શકે છે. એટલે કે લારી-ગલ્લા અને શોપિંગ કોમ્પલેક્ષ રાત્રે 9 સુધી જ ખુલા રાખી શકાશે.
હાલ રાજ્યમાં રાત્રે 11 વાગ્યા સુધી વેપાર-ધંધા ચાલુ રાખવાની પરવાનગી છે. ત્યારે તેમાં સુધારો કરીને 9 વાગ્યા સુધી જ વેપાર-ધંધા ચાલુ રાખવા માટેની એસઓપી જારી કરવામાં આવી શકે છે. તેમજ આઠ મહાનગરોમાં રેસ્ટોરન્ટને રાત્રે 9 સુધી જ ખુલ્લી રાખવાની પરવાનગી અપાઈ શકે છે.
આ ઉપરાંત, સરકાર તમામ સરકારી કાર્યક્રમો હાલ સ્થગિત કરી શકે છે. તેમજ શોપિંગ મોલ, થીએટરોમાં પચાસ ટકા ક્ષમતા અને ખાનગી ઓફિસોમાં પણ પચાસ ટકા હાજરી ફરજિયાત કરવામાં આવી શકે છે. આ મામલે રાજ્ય સરકાર ગાઈડલાઈન જાહેર કરે ત્યારબાદ જ વધુ સ્પષ્ટતા થશે.
બીજી તરફ, ઓફલાઈન શિક્ષણ બંધ કરવાની માગ પણ ઉઠી રહી છે. જે મામલે પણ સરકાર વિચારણા કરીને નિર્ણય લઇ શકે છે. પ્રબળ શક્યતા છે કે પ્રાથમિક ધોરણોના વર્ગો બંધ કરવામાં આવે. જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણોના વર્ગો માટે ઓડ-ઇવન પદ્ધતિ અમલમાં મૂકી શકાય છે. જોકે, ઘણી શાળાઓમાં તે હાલ પણ લાગુ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp