ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે રાહુલ ગાંધીએ જાહેર સભામાં શું વચન આપ્યું? હાર્દિક પટેલ પણ સ્ટેજ પર હાજર હતા
Rahul Gandhi Gujarat Visit : ગુજરાતમાં આ વર્ષના અંતે યોજાનાર ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) જેમ જેમ નજીક આવતી જાય છે, તેમ તેમ રાજ્યનો રાજકીય માહોલ ગરમાતો જાય છે. ભાજપ તરફથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહના ગુજરાત પ્રવાસો ચાલુ જ છે. કેજરીવાલ પણ આવનારા દિવસોમાં ગુજરાત પ્રવાસે આવવાના છે. આજે કોંગ્રેસ તરફથી યોજાયેલા આદિવાસી સત્યાગ્રહ મંચમાં રાહુલ ગાંધીએ હાજરી આપીને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. એમાં જગદીશ ઠાકોરે ગજબ આત્મવિશ્વાસ સાથે એક વચન આપ્યું હતું.
દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ મંચ પરથી જગદીશ ઠાકોરે રાહુલ ગાંધીને વચન આપતા કહ્યું હતું કે આદિવાસી સમુદાયની તમામ બેઠકો ઉપર આ વખતે કોંગ્રેસને જ જીતાડીશું! આદિવાસી અનામત 27 બેઠકો તેમજ આદિવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી 13 બેઠકો આ વખતે કોંગ્રેસને જ ફાળે આવશે, એવો આત્મવિશ્વાસ ઠાકોરે વ્યક્ત કર્યો હતો. જગદીશ ઠાકોરે તો ત્યાં સુધી કહ્યું હતું કે 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓમાં વિજય મેળવ્યા બાદ કોંગ્રેસ પક્ષ જ સત્તા પર આવશે. આ માટે કોંગ્રેસ કાર્યકરો ચોપાલ અને ઘરે ઘરે ખાટલા બેઠકો યોજીને કામ કરી રહ્યા છે.
આજે કોંગ્રેસ પક્ષે તમામ સિનીયર કોંગ્રેસી નેતાઓની ફોજ ઉતારી હતા. મંચ ઉપર બિરાજમાન આ બધા નેતાઓની સાથે જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ પણ હાજર હતા. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ છેલ્લા થોડા દિવસોથી ભાજપ તરફ સરકી રહ્યા હોય એવી હવા બંધાઈ છે. બીજી તરફ એક સમયે કોંગ્રેસ તરફી ગણાતા પાટીદાર અગ્રણી નરેશ પટેલ પણ કોંગ્રેસ તરફ જવાને બદલે ભાજપ તરફ જાય એવી શક્યતાઓ જોવાઈ રહી છે. આથી ગુજરાતમાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસ મનોબળની દ્રષ્ટિએ હારી જશે, એવી ચર્ચાએ જોર પકડ્યું છે.
પરંતુ જગદીશ ઠાકોરે આજે હકડેઠઠ મેદની સામે રાહુલ ગાંધીની હાજરીમાં આત્મવિશ્વાસ સાથે કોંગ્રેસના વિજયની વાતો કરી હતી. આ સમયે સ્ટેજ પર બેઠેલા હાર્દિક પટેલ શાંત ચહેરે સાંભળી રહ્યા હતા. આજની સભામાં હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી, અમિત ચાવડા સહિતના નેતાઓએ પ્રવચન કર્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp