જામનગર: કોરોનાની બીજી લહેરમાં આતંક મચાવનાર કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના નવા સ્વરૂપ ડેલ્ટા પ્લસ વેરિયન્ટે દેશની ચિંતામાં વધારો કરી દીધો છે. દેશમાં ધીમે-ધીમે ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસ વધી રહ્યા છે, જેમાં ગુજરાત પણ બાકાત રહી શક્યું નથી. રાજ્યમાં વડોદરા અને સુરતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસ નોંધાયા બાદ સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં વધુ એક કેસ નોંધાયો છે.
જામનગરમાં એક ૬૦ વર્ષીય મહિલાનો કોરોનાનો ડેલ્ટા પ્લસ રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. ૨૮ મેના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને સારવાર માટે જી.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, યોગ્ય સારવાર મળવાના કારણે તેઓ સ્વસ્થ થઇ ગયા હતા અને ૨ જૂનના રોજ તેમને રજા આપી દેવામાં આવી હતી.
તેમને ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ચેપ લાગ્યો છે કે નહીં તે અંગે ચકાસણી કરવા પુનાની એક લેબોરેટરીમાં સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જે રિપોર્ટ આવ્યા બાદ તેમનામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની પુષ્ટિ થઇ છે. હાલ તેમની તબિયત સ્થિર જણાઈ રહી છે અને તેમણે કોરોનાની રસીનો એક ડોઝ લઇ લીધો હોવાની જાણકારી મળી છે.
જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતની પુષ્ટિ કરવામાં આવી છે. તેમજ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રહેણાંક મકાન અને આસપાસના વિસ્તારમાં આરોગ્ય વિષયક પગલાં ભરવાનું તાત્કાલિક શરૂ કરી દીધું છે.
બીજી તરફ, જામનગરમાં ગઈકાલે કોરોનાના માત્ર ૨ પોઝીટિવ કેસ નોંધાયા હતા. જેની સાથે શહેરમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૨૨,૧૮૮ પર પહોંચ્યો છે. તેમજ શહેર-જિલ્લાની હોસ્પિટલોના ૫૯૯૨ બેડમાંથી ૫૯૧૬ બેડ ખાલી છે તેમજ હાલ ૭૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે રાજ્યમાં ગઈકાલે કોરોનાના માત્ર ૯૩ નવા કેસ નોંધાયા હતા.