ઉજવણીના નામે દેશવિરોધ : કચ્છના એક ગામમાં પરિણામ બાદ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગ્યા, ગૃહમંત્રી એકશનમાં
અંજાર: રવિવારે યોજાયેલી સરપંચની ચૂંટણીના પરિણામો ગઈકાલે જાહેર કરવામાં આવ્યા હતા. પરિણામો જાહેર થયા બાદ ગામેગામ વિજેતા ઉમેદવારોના સમર્થનમાં સરઘસ કાઢવામાં આવ્યા હતા અને જીતની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ કચ્છના એક ગામમાં ઉજવણીના નામે પાકિસ્તાન ઝિંદાબાદના નારાઓ લગાવવામાં આવતા માહોલ તંગ બન્યો છે.
સોશિયલ મીડિયા ઉપર કેટલાક વિડીયો વાઈરલ થયા છે. વાઈરલ વિડીયોમાં સંભળાય છે કે લોકોની ભીડમાં કેટલાક ઈસમો પાકિસ્તાન ઝિંદાબાદના નારાઓ લગાવી રહ્યા છે. આ ઘટના અંજાર તાલુકાના દુધઈ ગામની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આ મામલે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક્શનમાં આવી ગયા છે અને તેમણે તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે, આજે સવારે જ રેન્જ આઈજી અને કચ્છના એસપી સાથે આ મામલે વાતચીત થઇ હતી અને તેમને કડક પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી છે. આજે વહેલી સવારે આ બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે અને તમામ લોકોને પકડી લેવામાં આવશે. તેમણે કહ્યું કે, હું વિશ્વાસ અપાવું છું કે જે કોઈ લોકો સામેલ હતા તેમને જલ્દીથી પકડી લેવામાં આવશે.
4200 મતદારો ધરાવતા દુધઈ ગામમાં સરપંચ તરીકે રીનાબેન કોઠીવાર ચૂંટાઈ આવ્યા હતા. તેમને 1026 મતો મળ્યા હતા. વિજેતા તરીકે તેમના નામની જાહેરાત થયા બાદ સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલાકે નારાઓ લગાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે આ મામલે સરપંચના પતિએ જણાવ્યું કે, આજે સવારે અમે સમાચાર સાંભળ્યા ત્યારે આ અંગે ખબર પડી હતી. અમારામાંથી કોઈએ આવા નારા લગાવવામાં આવ્યા નથી. તેમણે કહ્યું કે તેમના ધ્યાનમાં આવું કશું આવ્યું નથી, છતાં તપાસ કરી લેશે.
પોલીસે આ વિડીયો મામલે તપાસ હાથ ધરી છે અને ગુનો પણ નોંધી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં આ મામલે આરોપીઓ પકડાય જાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp