Gujarat : ગોધરા હત્યાકાંડ અંગે અમિત શાહનું મોટું નિવેદન; કહ્યું- '2002માં પાઠ શીખવવામાં આવ્યો અને...'
ગુજરાત ડેસ્ક : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે અગાઉ ગુજરાતમાં અસામાજિક તત્વો હિંસા આચરતા હતા અને કોંગ્રેસ તેમને સમર્થન આપતી હતી પરંતુ 2002માં "પાઠ શીખવવામાં" આવ્યા બાદ ગુનેગારોએ આવી પ્રવૃત્તિઓ બંધ કરી દીધી અને ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં 'કાયમી શાંતિ' સ્થાપિત કરી હતી.
ગુજરાતમાં, ફેબ્રુઆરી 2002 માં, ગોધરા રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં આગ લાગવાથી રાજ્યના કેટલાક ભાગોમાં મોટા પાયે હિંસા ફાટી નીકળી હતી. રાજ્યમાં આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા શાહે ખેડા જિલ્લાના મહુધા ખાતે ભાજપના ઉમેદવારોની તરફેણમાં રેલી યોજી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, ગુજરાતમાં કોંગ્રેસના શાસન દરમિયાન (1995 પહેલા) અવારનવાર કોમી રમખાણો થતા હતા.
કોંગ્રેસ વિવિધ સમુદાયો અને જાતિના સભ્યોને એકબીજા વિરુદ્ધ ઉશ્કેરતી હતી. કોંગ્રેસે આવા રમખાણો દ્વારા પોતાની વોટ બેંક મજબૂત કરી અને સમાજના એક મોટા વર્ગને અન્યાય કર્યો." શાહે દાવો કર્યો હતો કે 2002માં ગુજરાતના રમખાણો એટલા માટે થયા હતા કારણ કે ગુનેગારોને લાંબા સમયથી કોંગ્રેસનું સમર્થન મળ્યું હતું. હિંસામાં સામેલ થવું એક આદત બની ગઈ હતી.
ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે કહ્યું, પરંતુ 2002માં પાઠ ભણાવવામાં આવ્યા બાદ આવા તત્વોએ તે રસ્તો (હિંસાનો) છોડી દીધો હતો. તેઓ વર્ષ 2002 થી વર્ષ 2022 સુધી હિંસાથી દૂર રહ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપે કોમી હિંસામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરીને ગુજરાતમાં કાયમી શાંતિ લાવી છે.
જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર બંધારણની કલમ 370 નાબૂદ કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા શાહે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ તેની "વોટ બેંક" ના કારણે તેની વિરુદ્ધ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp