અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshvar) અમરતપુરા અને સારંગપુર રેલવે ટ્રેક પાસેથી 3 ટ્રાવેલ બેગમાં હત્યા (Murder) કરીને કાપી નાખેલા હાથ-પગ અને ધડ 2 દિવસ પહેલાં મળી આવવાના ચકચારી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવામાં ભરૂચ LCB ને મોટી સફળતા મળી છે. તપાસમાં લાશના ટુકડા મૂળ બાંગ્લાદેશી અને ભારતમાં વર્ષોથી રહેતા અકબર નામના શખ્સના હોવાનો ખુલાસો થયો છે.
આ હત્યા પાછળ બાંગ્લાદેશી ઘૂસણખોરી અને તેની પાછળ વારંવાર થતું બ્લેકમેઇલિંગનું કારણ બહાર આવ્યું છે. પોલીસે હત્યાને અંજામ આપનાર બાંગ્લાદેશી મહિલા સહિત 2 બાંગ્લાદેશીઓ અને એક રિક્ષાચાલકની ધરપકડ કરી છે.
હત્યામાં સામેલ બાંગ્લાદેશીઓ લેસીના ઝાકીર અબ્દુલ મુલ્લા, મુફીસ મોહંમદ મુલ્લા અને અજોમ સમસુ શેખ ત્રણેય છેલ્લા ઘણા સમયથી ગુજરાતના અમદાવાદ, સુરત, ભરૂચ અને અંકલેશ્વર જેવા શહેરોમાં વસવાટ કરતા હતા. મૃતક અકબર પણ મૂળ બાંગ્લાદેશી હતો જે આ ત્રણેયને અવારનવાર ધમકી આપતો રહેતો કે ત્રણેયને તે પોલીસના હાથે પકડાવી દેશે અને ડિપોર્ટ કરાવી દેશે, અને જો આમ ન થવા દેવું હોય તો તેને પૈસા આપવા પડશે.
કાયમ થતા બ્લેકમેલિંગના કારણે ત્રણેયે રિક્ષા ડ્રાઈવરની મદદ લઈને કાવતરૂ રચીને અકબરને અંકલેશ્વર સ્થિત લેસિનાના ઘરે બોલાવ્યો હતો અને ત્યારબાદ ઊંઘની ગોળીઓ પીવડાવી બેભાન કરી ઓશિકા વડે મોઢું દબાવી હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓએ તીક્ષ્ણ હથિયાર વડે મૃતકની લાશના ટુકડા કરી નાંખ્યા હતા અને બેગમાં ભરીને શહેરના અવાવરૂ વિસ્તારોમેં ફેંકી દીધા હતા.
ભરૂચ જિલ્લા પોલીસવડા DSP રાજેન્દ્રસિંહ ચુડાસમાએ DySp ચિરાગ દેસાઈ, LCB, SOG, પેરોલ ફર્લો તથા સ્થાનિક પોલીસને ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપતાં અલગ અલગ ટીમો બનાવાઈ હતી. હ્યુમન ઈન્ટેલિજન્ટ અને ટેક્નિકલ સર્વેલન્સ તથા CCTV સર્વેલન્સ આધારે એલ.સી.બી. ટીમ દ્વારા ગુનામાં વપરાયેલ રિક્ષાની ઓળખ કરી રિક્ષા જે વિસ્તારની હોય ત્યાં વોચ કરી 4 આરોપીને હસ્તગત કરાયા છે. જેઓ પાસેથી 8 મોબાઈલ, હત્યામાં લાશના ટુકડાનો નિકાલ કરાયેલી રિક્ષા કબજે કરવામાં આવી છે.
હત્યામાં 3 બાંગ્લાદેશી અને મૂળ યુપીના રિક્ષાચાલકની સંડોવણી
– લેસીના ઝાકીર અબ્દુલ મુલ્લા (ઉં.વ. 37) (રહે., હાલ-૧૯૩ મંગલદીપ સોસાયટી, મીરાનગર રાજપીપળા રોડ, અંકલેશ્વર)
– મુફીસ મોહંમદ મુલ્લા (ઉં.વ.34) (રહે., હાલ- બાપુનગર, રાજપીપળા રોડ, અંક્લેશ્વર)
– અજોમ સમસુ શેખ (ઉં.વ.55) (રહે.,હાલ- લાલબજાર કોઠી, વડાપડા રોડ, અલ્લારખાના મકાનમાં-ભરૂચ તથા ગોયા બજાર અંક્લેશ્વર, ત્રણેય મૂળ બાંગ્લાદેશી)
– નૌસાદ ઇદ્રીશ ખાન (ઉ.વ.49) (રિક્ષા ડ્રાઇવર) (હાલ રહે.,અંકલેશ્વર બાપુનગર વોટર પ્લાન્ટ પાસે ભાડેથી, તા.અંકલેશ્વર, મૂળ રહે., જમુઆ, બેલથરા રોડ, જિ.બલીયા, U.P)