BJP Presidency : ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે આ નેતાનું નામ સૌથી આગળ, ગુજરાત સાથે છે કનેક્શન
નેશનલ ડેસ્ક : ભાજપમાં કમુરતાં ઉતારતાંની સાથે જ સરકાર અને સંગઠનમાં મોટા ફેરફાર થવાની સંભાવના છે. દિલ્હીમાં ૧૬-૧૭ જાન્યુઆરીએ ભાજપની ૨ દિવસીય રાષ્ટ્રીય કારોબારીમાં નવા પ્રમુખની નિમણૂક અંગે નિર્ણય લેવાશે એવો ભાજપનાં સૂત્રોનો દાવો છે. સૂત્રોનો દાવો છે કે, ભૂપેન્દ્ર યાદવ અત્યારે આ રેસમાં સૌથી આગળ છે. વચ્ચે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નું નામ પણ આગળ ચાલ્યું હતું. જોકે, શાહ , મોદી બાદ પાટીલ પણ દિલ્હી પહોંચે તો 3 ગુજરાતીઓનું વર્ચસ્વ દિલ્હી ભાજપમાં વધી શકે છે. આગામી 2 વર્ષ ભાજપ માટે અતિ અગત્યના છે. જેને પગલે રાજકારણમાં મોટા ફેરફાર થવાના એંધાણ છે. ભૂપેન્દ્ર યાદવ એ ગુજરાત સાથે વર્ષોથી સંકળાયેલા છે અને ગુજરાતના નેતાઓ સારી રીતે જાણે છે.
આ વરસે 9 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે જ્યારે 2024માં લોકસભા ચૂંટણી છે. ભારતીય જનતા પાર્ટી અત્યારથી ચૂંટણીની તૈયારીઓમાં લાગી છે. ભાજપની બે દિવસની રાષ્ટ્રીય કારોબારીમાં ચૂંટણી અંગેની વ્યૂહરચના ઘડાશે અને મિશન 2024ની ચર્ચા કરવામાં આવશે. દેશમાં ભાજપ સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારો થવાની સંભાવના છે. મોદી કેબિનેટનું કમૂરતાં પતે પછી ઉત્તરાયણ બાદ વિસ્તરણ કરાશે એવી અટકળો ચાલી રહી છે ત્યારે ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, મોદીના વિસ્તરણમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિતનાં જે રાજ્યોમાં ચૂંટણી પતી ગઈ છે એ રાજ્યોના મંત્રીઓનાં પત્તાં કપાશે. આમ ભાજપમાં ગુજરાતનું કદ ઘટે તેવી સંભાવના છે. તેમના સ્થાને મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને કર્ણાટક એ ચાર રાજ્યોના સાંસદોને મંત્રી બનાવાશે.
આ વર્ષે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને કર્ણાટક એ ચાર મોટાં રાજ્યોમાં ચૂંટણી છે. લોકસભાની ચૂંટણી પહેલાંની આ સેમીફાઈનલ છે. ભાજપ માટે અહીં જીત મેળવવી એ અતિ અગત્યની છે. આ રાજ્યો પૈકી મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં ભાજપની સરકાર છે પણ ભાજપની હાલત ખરાબ છે. રાજસ્થાન, છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારો છે પણ બંને કોંગ્રેસી મુખ્યમંત્રી મજબૂત હોવાથી આ ચાર રાજ્યોને ધ્યાનમાં રાખીને મોદી કેબિનેટનું વિસ્તરણ કરાશે. આમ ભાજપ આ રાજયોમાં જીત માટે મંત્રી પદની લ્હાણી કરી શકે છે. જો એવું થયું તો રૂપાલા, દેવુસિંહ ચૌહાણ, મહેન્દ્ર મુંજપરા અને દર્શનાબેન જરદૌશના મંત્રી પદ પર ખતરો આવી શકે છે. હાલમાં ગુજરાતમાંથી અમિત શાહ ગૃહમંત્રી અને મનસુખ માંડવિયા આરોગ્યમંત્રી છે. વિદેશ મંત્રી જયશંકર પણ ગુજરાતની સીટ પરથી મંત્રી હોવાથી નવા મંત્રીમંડળમાં ગુજરાતનું કદ ઘટી શકે છે.
આ બેઠકમાં તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખો અને સંગઠન મહામંત્રી હાજર રહેશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે. સૂત્રોનો દાવો છે કે, કારોબારીમાં અત્યારથી જ લોકસભા ચૂંટણી માટે વિવિધ રાજ્યોમાં કેન્દ્રિય મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવશે. રાષ્ટ્રીય કારોબારી બાદ કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય સંગઠનમાં મોટા ફેરફાર આવે તેવા એંધાણ છે. જે.પી. નડ્ડાની મુદત ૨૦ જાન્યુઆરીએ પૂરી થાય છે તેથી ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ અંગે પણ નિર્ણય લઈ લેશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp