પાણી મુદ્દે કલેક્ટરને રજૂઆત કરવા પહોચ્યા ખેડૂતો, ઉનાળાની શરૂઆતમાં જ ઉત્તર ગુજરાતમાં ઠેર ઠેર પાણીની સમસ્યા સર્જાઈ
ગુજરાત ડેસ્ક : બનાસકાંઠામાં પાણી અંગેની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. વર્તમાન સમયે સ્થિતિ એવી છે કે રણવિસ્તારમાં કેનાલો તો બનાવવામાં આવી છે, પરંતુ સિંચાઇ માટે સમયસર પાણી અપાતું નથી. બીજી તરફ પહાડી વિસ્તારોમાં પીવાના પાણીની પણ સમસ્યા ઠેર ઠેર છે.
આજે ખેડૂતો પીવાના પાણી અને સિંચાઈના પાણીની સમસ્યાને લઈને રેલી કાઢી કલેક્ટરને રજૂઆત કરશે. આજની રેલીમાં પાંચ હજારથી વધુ ખેડૂતો જોડાયા છે.
બનાસકાંઠા જીલ્લાના મોટાભાગના છેવાડાના વિસ્તારોમાં નહેર તો પહોંચી ગઈ છે, પરંતુ તેમાં સમયસર પાણી અપાતું નથી. ઘણા વિસ્તારોમાં હજી સુધી નહેર પહોંચી નથી. જીલ્લાના મોટા ભાગના તળાવ કોરાં ધાકોર પડ્યા છે. આથી પાણી ની સમસ્યાના નિવારણ માટે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે.
28 ફેબ્રુઆરી, સોમવારના રોજ જીલ્લાના ખેડૂતોએ ધાનીયાણા ચાર રસ્તાથી મૌનરેલી કાઢી પાલનપુરમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતુ. અઠવાડિયું થયું હોવા છતાં આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આથી આજે ફરી ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી છે. પાલનપુરના મલાણા તળાવ પર પાંચ હજારથી વધુ ખેડૂતોએ એકઠા થઇ ગંગા આરતી કરી રેલી કાઢી હતી.
ખેડૂતોની મુખ્ય માગ તળાવોમાં પાણી ભરવા તેમજ સિંચાઇ માટે પાણીની વ્યવસ્થા કરવાની છે. આ માટે તેઓ આજે ફરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે. ખેડૂતોની આ ટ્રેક્ટર રેલીમાં અલગ અલગ ગામડાઓમાંથી લગભગ પાંચ હજારથી વધુ ખેડૂતો જોડાયા છે, તેમજ હજી પણ વધુ ખેડૂતો જોડાશે તેવી સંભાવનાઓ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પહેલા ખેડૂતોએ કોંગ્રેસના ધારાસભ્યો અને કલેક્ટરને પાણી આપવા અંગે રજૂઆત કરી હતી. પરંતુ કોઈ ઉકેલ ન આવતા હવે ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢી રહ્યા છે. આ મલાણા તળાવ સિંચાઈના પાણી માટે ખેડૂતોને ઘણુ ઉપયોગી હતું પરંતુ હાલ તળાવ ખાલી હોવાથી તકલીફ પડી રહી છે. સરકારને ખેડૂતોની માગ છે કે, સરકાર નર્મદા કેનાલનું પાણી કે ધરોઈ ડેમનું પાણી મલાણા તળાવ સુધી પહોંચાડીને તળાવ ભરે અને ખેડૂતોની માગ પુરી કરે.
ખેડૂતોના આ વિરોધ અંગે દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ કહ્યું કે 'છેલ્લા 2 વર્ષોથી ખેડૂતોને સિંચાઈનું પાણી કે પીવાનું પાણી પુરતું નથી મળતું. ઘણી રજુઆતો છતાં સરકાર આ અંગે કોઈ પ્રતિસાદ નથી આપી રહી. મારા મતવિસ્તાર દાંતામાં ઘણા ડેમો હાલ ખાલી છે. સરકાર રાજકારણ ના રમે અને ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા કરે'
વડગામ, અમીરગઢ, પાલનપુર તાલુકાના કુલ 50 જેટલા ગામોના ખેડૂતો પાણીની માગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે એશિયાનું પ્રથમ નંબરનું સ્થાન ધરાવતી અને દૈનિક 50 લાખ લિટરથી વધુ દૂધનું સંપાદન કરતી બનાસ ડેરી બનાસકાંઠામાં આવેલી છે છતાં અડધા ગુજરાતને દૂધ પૂરું પાડતા બનાસકાંઠાના ખેડૂતો પાણી માટે વલખાં મારે છે. પાણી માટે ખેડૂતોને રસ્તા પર ઊતરવાનો વારો આવ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp