કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં ગયેલી વિધાનસભા ચૂંટણીમાં (Assembly elections) મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamta Banerjee) નંદીગ્રામ બેઠક પરથી ભાજપના સુવેંદુ અધિકારી (Suvendu Adhikari) સામે હારી ગયા હતા. આ મામલે કોલકત્તા હાઈકોર્ટમાં (Kolkata High Court) કરવામાં આવેલ અરજી મામલે સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન હાઈકોર્ટે મમતાને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારી દીધો હતો.
કોર્ટે દંડ જજ પર સવાલ ઉઠાવવાના મામલે ફટકાર્યો છે. મમતા બેનર્જીએ કેસની સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ પર ભાજપ સાથે સબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો અને જજ બદલવાની માગ પણ કરી હતી. કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ કૌશિક ચંદાએ પોતાના પર લાગેલા આરોપો નિરાધાર ઠેરવી પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ પૈસાનો ઉપયોગ કોવિડ-19 પીડિત પરિવારોના સભ્યોની મદદ માટે કરાશે.
જસ્ટિસ ચંદાએ આ કેસમાં 24 જૂને ચુકાદો અનામત રાખ્યો હતો. તેમણે બુધવારે ચુકાદો સંભળાવતા કહ્યું કે મમતાએ ન્યાયતંત્રની છબીને ધૂંધળી કરવાની કોશિશ કરી છે. જોકે, મહત્વની વાત એ છે કે જસ્ટિસ ચંદાએ પોતે જ આ કેસમાંથી હટવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે અડચણ પેદા કરનારાઓને વિવાદ ચાલુ રાખવાની તક ન મળવી જોઈએ. જોકે કેસની સાથે બિનજરૂરી સમસ્યા ચાલુ રહે તો એ વાત ન્યાયના હિતોથી વિરુદ્ધ હશે.
કોર્ટની છબી ખરડવાનો આરોપ
કોર્ટે આ મામલે ટિપ્પણી કરતા એમ પણ કહ્યું કે મમતા બેનર્જીએ ન્યાયપાલિકાની છબી ખરડવાની કોશિશ કરી છે. આ અગાઉ અરજી દાખલ કરતી વખતે મમતા તરફથી કહેવાયું હતું કે જસ્ટિસ ચંદાનો કથિત ફોટો સામે આવ્યો છે જેમાં તેઓ ભાજપના નેતાઓ સાથે જોવા મળી રહ્યા છે. જેથી તેમણે કેસથી ખસી જવું જોઈએ.
નંદીગ્રામમાં હાર પછી મમતાએ 7 મેના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તે પછી સૌથી મોટો સવાલ એ હતો કે તે ચૂંટણી ક્યાંથી લડશે. અંતે તેમની પારંપારિક સીટ ભવાનીપુરથી જીતેલા ટીએમસી (TMC) ના ધારાસભ્ય શોભન દેવ ચેટર્જીએ રાજીનામું આપી દીધું. જેથી એ નક્કી છે કે મમતા અહીંથી ચૂંટણી લડશે. બંગાળમાં ૨૦૧૧ વિધાનસભા ચૂંટણીમાં ભવાનીપુરથી તૃણમૂલના સુબ્રત બક્ષી ચૂંટણી જીત્યા હતા. તેમના રાજીનામા પછી મમતાએ અહીં પેટા-ચૂંટણી લડી હતી અને જીતી મેળવી હતી. ૨૦૧૬ ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ આ સીટથી લડ્યા અને જીત મેળવી હતી.