નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ પહેલા કેન્દ્ર સરકારે કેટલાક રાજ્યોના રાજ્યપાલ બદલ્યા છે. કર્ણાટક, મધ્ય પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ગોવા, ઝારખંડ તેમજ ત્રિપુરા અને મિઝોરમમાં રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારમાં મંત્રી થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ અત્યાર સુધી કેન્દ્રમાં મંત્રી હતા પરંતુ હવે તેમને કેન્દ્રીય મંત્રીપદેથી હટાવીને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. જેથી કર્ણાટકના હાલના રાજ્યપાલ વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂર્ણ થયો છે. તેઓ વર્ષ ૨૦૧૪ માં કર્ણાટકના રાજ્યપાલ બન્યા હતા, સાત વર્ષ સુધી તેમણે આ પદે ફરજ બજાવી છે.
આ ઉપરાંત ગુજરાત સરકારના પૂર્વ મંત્રી મંગુભાઈ પટેલને મધ્ય પ્રદેશના ગવર્નરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ પહેલા એમપીના રાજ્યપાલનો કારભાર યુપીના ગવર્નર આનંદીબેન પટેલ સંભાળતા હતા. પરંતુ હવે મંગુભાઈ પટેલ મધ્ય પ્રદેશના ગવર્નર હશે. જ્યારે આનંદીબેન પાસે હવે માત્ર ઉત્તર પ્રદેશના ગવર્નરનો ચાર્જ રહેશે.
કર્ણાટક : થાવરચંદ ગેહલોત
મધ્ય પ્રદેશ : મંગુભાઈ પટેલ
હરિયાણા: ભંડારૂ દત્તાત્રેય
હિમાચલ પ્રદેશ: રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર
ઝારખંડ: રમેશ બૈસ
ગોવા: પીએસ શ્રીધરણ પિલ્લાઇ
ત્રિપુરા: સત્યદેવ નારાયણ આર્ય
મિઝોરમ: હરિ બાબૂ
સરકારે ભંડારૂ દત્તાત્રેયને હરિયાણાના રાજ્યપાલ નિયુક્ત કર્યા છે. અત્યાર સુધી તેઓ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા. તેમજ હિમાચલ પ્રદેશના ગવર્નર પદે રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને નીમવામાં આવ્યા છે. ઝારખંડના ગવર્નર તરીકે રમેશ બૈસ અને ગોવાના રાજ્યપાલ પદે પીએસ શ્રીધરણ પિલ્લાઇને નીમવામાં આવ્યા છે. ઉત્તર પૂર્વના બે રાજ્યો ત્રિપુરા અને મિઝોરમમાં અનુક્રમે સત્યદેવ નારાયણ આર્ય અને હરિ બાબૂને ગવર્નરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.