રસી ૨.૫ કરોડ લોકોને અપાઈ અને તાવ એક પાર્ટીને ચડી ગયો! : પીએમ મોદીનો કટાક્ષ
નવી દિલ્હી: ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧મા જન્મદિને ભારતે એક નવો વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. દેશમાં ગઈકાલે એક જ દિવસમાં કુલ અઢી કરોડથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. જે આજ સુધીનો રેકોર્ડ છે. પીએમ મોદીએ આજે એક કાર્યક્રમમાં આ રેકોર્ડને લઈને કહ્યું કે આ ક્ષણ તેમના માટે અવિસ્મરણીય અને ભાવુક બની ગઈ છે.
પીએમ મોદીએ કહ્યું, જન્મદિવસો બહુ આવ્યા અને ગયા, પણ હું મનથી હંમેશા આ બધી બાબતોથી અલિપ્ત રહું છું. પરંતુ મારા આટલા વર્ષના આયુષ્યમાં ગઈકાલનો દિવસ મારા માટે અત્યંત ભાવુક કરી દેનારો હતો. તેઓ ગોવાના સ્વાસ્થ્ય કર્મચારીઓ સાથે સંવાદ કરી રહ્યા હતા, આ કાર્યક્રમ દરમિયાન તેમણે આ વાતોનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.
દરમ્યાન, પીએમ મોદીએ કોઈ પણ પાર્ટીનું નામ લીધા વગર કહ્યું કે તેમણે રસીના કારણે આડઅસરના રૂપમા લોકોને તાવ આવવાની વાતો તો સાંભળી હતી પરંતુ ગઈકાલે તેમના જન્મદિને ૨.૫ કરોડ લોકોને રસી આપવામાં આવિ તો એક રાજનીતિક પાર્ટીને તાવ આવી ગયો!
તેમણે કહ્યું, ડોક્ટરો કહે છે કે વેક્સિન લીધા બાદ આડઅસર થાય છે, તાવ આવે છે. જ્યારે દેશમાં સ્વાસ્થ્ય કર્મચારીઓએ અઢી કરોડથી વધુ લોકોને રસી આપી, તેમાંથી કેટલાક લોકોને આડઅસર થઇ એ તો હું સમજુ છું, પરંતુ એ હું પહેલીવાર સાંભળી રહ્યો છું કે અઢી કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવે અને કાલે રાત્રે ૧૨ વાગ્યા બાદ એક રાજનીતિક પાર્ટીને આડઅસર થઇ હોય. તેમને તાવ આવી ગયો છે. તેમણે કટાક્ષના સ્વરે કહ્યું કે, આની પાછળ કોઈ તર્ક હોય શકે કે કેમ?
ઉલ્લેખનીય છે કે ૧૭ સપ્ટેમ્બરે રસીકરણ ક્ષેત્રે વિક્રમ બન્યા બાદ કોંગ્રેસ મોદી સરકાર અને પીએમ મોદી ઉપર પ્રહારો કરી રહી છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'અન્ય દિવસોએ પણ ૨.૧ કરોડ રસી લગાવવામાં આવે તે જરૂરી છે. દેશમાં આ જ ગતિએ રસીકરણ થવું જોઈએ.' જોકે, દેશમાં ગઈકાલે અઢી કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી.
કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે કહ્યું કે મોટી સંખ્યામાં રસીકરણ માટે પીએમના જન્મદિવસની રાહ કેમ જોવામાં આવી. તેમણે પ્રશ્ન કર્યો કે મોદીનો જન્મદિન ૩૧ ડિસેમ્બરના રોજ હોત તો અઢી કરોડ રસીકરણ વર્ષના અંતિમ દિવસે થયું હોત? તેમણે એમ પણ કહ્યું કે ભાજપ શાસિત રાજ્ય યુપી, એમપી, ગુજરાત અને કર્ણાટક પીએમના જન્મદિને પરફોર્મ કરે છે અને રોજની સરેરાશ કરતા વધુ રસી આપે છે. પરંતુ અન્ય દિવસોએ તેમનું પરફોર્મન્સ સામાન્ય રહે છે. તેમણે કહ્યું કે વડાપ્રધાને પોતાનો જન્મદિન રોજ ઉજવવો જોઈએ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp