બેંગ્લોર: કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ (BS Yediyurappa) આજે મુખ્યમંત્રી (Chief Minister) પદેથી રાજીનામુ આપી દીધું છે. યેદિયુરપ્પાના રાજીનામા બાદ હવે કર્ણાટકના (Karnataka) આગામી મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે. ભાજપ જલ્દીથી કર્ણાટક વિધાનસભામાં વિધાયક દળની બેઠક બોલાવશે જેમાં આગામી મુખ્યમંત્રીના નામ ઉપર મહોર લાગી શકે છે.
ભાજપ આગામી એકથી બે દિવસોમાં કર્ણાટકના નવા મુખ્યમંત્રીના નામની ઘોષણા કરી શકે છે. આ માટે પાર્ટીએ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ઓબ્ઝર્વર તરીકે કર્ણાટક મોકલવાનું નક્કી કર્યું છે.
પાર્ટીના સૂત્રો અનુસાર, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીનું (Prahlad Joshi) નામ સીએમ પદની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે. આ ઉપરાંત, ગૃહમંત્રી બાસવરાજ બોમ્મઈનું નામ પણ ચર્ચામાં છે. હાલ નવા મુખ્યમંત્રીની પસંદગીમાં એકથી બે દિવસનો સમય લાગી શકે છે. ત્યાં સુધી યેદિયુરપ્પા જ રાજ્યના મુખ્યમંત્રી તરીકે કારભાર સંભાળશે.
રાજીનામુ આપ્યા બાદ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે તેમણે મુખ્યમંત્રી તરીકે કોઈના નામની ભલામણ પાર્ટીને કરી નથી. ભાજપ હાઈકમાન્ડ તરફથી જેને પણ મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવશે, અમે તેમના વડપણ હેઠળ કામ કરીશું. હું મારા તરફથી ૧૦૦ ટકા યોગદાન આપીશ અને મારા સમર્થકો પણ આવું જ કરશે. મારા અસંતોષને લઈને કોઈ પણ પ્રકારની ખોટી વાતો ન થવી જોઈએ.
તેમણે કહ્યું કે, કોઈએ મારી ઉપર રાજીનામુ આપવા માટે દબાણ નથી કર્યું. મેં જાતે જ રાજીનામુ આપ્યું છે જેથી સરકારના બે વર્ષ પૂરા થવા પર બીજા કોઈને તક મળી શકે. હું આગલી ચૂંટણીમાં ભાજપને સત્તામાં લાવવા માટે પોતાની તરફથી સંપૂર્ણ યોગદાન આપીશ. મેં મારા ઉત્તરાધિકારી તરીકે કોઈનું નામ આપ્યું નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી તેમના રાજીનામાની અટકળો ચાલી રહી હતી. ખાસ કરીને તેમના દિલ્હી પ્રવાસ બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી હતી કે તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી શકે છે. તેઓ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા.
જોકે, પીએમ સાથેની મુલાકાત બાદ તેમણે કહ્યું હતું કે તેઓ રાજીનામુ આપવા જઈ રહ્યા નથી અને પીએમ સાથે માત્ર રાજ્યના વિકાસને લઈને વાતો થઇ છે. જોકે, ત્યારબાદ ગઈકાલે તેમણે વધુ એક નિવેદન આપતા કહ્યું હતું કે સાંજ સુધીમાં પાર્ટી હાઈકમાન્ડ તરફથી જણાવવામાં આવશે કે તેઓ રાજીનામુ આપશે કે નહીં. આજે સવારે તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામાની જાહેરાત કરી છે.
(Photo credit: Live Hindustan)