ગાંધીનગર: રાજ્યની શાળાઓમાં માધ્યમિકના વર્ગો શરૂ કરવામાં આવ્યા બાદ હવે સરકારે ઉચ્ચતર પ્રાથમિક ધોરણોના વર્ગો પણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આજે મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્યના મંત્રીમંડળની બેઠક મળી હતી. બેઠક બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકારના નિર્ણય અંગે જાણકારી આપી હતી.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, ગુજરાતની શાળાઓમાં ધોરણ ૬ થી ૮ ના વર્ગોમાં અભ્યાસ કરતા ૩૨ લાખ જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય આગામી બીજી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને પચાસ ટકા હાજરી સાથે બોલવામાં આવશે તેમ તેમણે જણાવ્યું છે. આ સાથે રાજ્યની સ્કૂલોમાં ધોરણ ૬ થી ૧૨ ના ઓફલાઈન વર્ગો ચાલતા થઈ જશે.
શિક્ષણમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થીઓએ શાળાએ આવવું ફરજિયાત નથી અને શાળાઓએ ફરજિયાત ઓનલાઈન વર્ગો ચાલુ રાખવા પડશે જેથી જે વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરવા માગતા હોય તેમના માટે તે વિકલ્પ પણ ખુલ્લો જ રહેશે.
શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે શાળામાં કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને દરેક વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય કર્મચારીઓએ ફરજિયાત માસ્ક પહેરવાના રહેશે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમો પાળવાના રહેશે. તેમજ શાળાઓએ રાજ્ય સરકારની એસઓપીનું પણ પાલન કરવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે કોરોનાની બીજી લહેર શાંત થયા બાદ ૧૫ જુલાઈથી ધોરણ ૧૨ ના વર્ગો શરૂ કરી દીધા હતા. ત્યારબાદ સ્થિતિ સામાન્ય બનતા ૧૧ અને ત્યારબાદ ૯ અને ૧૦મા ધોરણોના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ પ્રાથમિક ધોરણોના વર્ગો અંગે સરકાર વિચાર કરી રહી હતી. શિક્ષણમંત્રીએ અગાઉ કહ્યું હતું કે ૧૫ ઓગસ્ટ બાદ આ અંગે વિચારણા કરવામાં આવશે.
ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરૂ કરવા માટે સરકાર અસમંજસની સ્થિતિમાં હતી અને શાળાઓ શરૂ કરવા અંગે મતમતાંતર હતા. ત્યારબાદ હવે સપ્ટેમ્બરથી ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરૂ કરવા માટેનો નિર્ણય સરકારે લીધો છે. જોકે, હજુ પણ પ્રાથમિક ધોરણો એટલે કે ૧ થી ૫ ના વર્ગો ખોલવા માટેનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. નાના બાળકોના સ્વાસ્થ્ય સાથે સરકાર કોઈ જોખમ લેવા માગતી ન હોય તેમ જણાઈ રહ્યું છે.