આજે છઠ્ઠું નોરતું : માતા કાત્યાયનીના જન્મ સાથે જોડાયેલી પૌરાણિક કથા
નવરાત્રિ: આજે નવરાત્રિના છઠ્ઠા નોરતામાં નવદુર્ગાના કાત્યાયની સ્વરૂપનું પૂજન-અર્ચન થાય છે. આ દિવસે સાધકનું મન ‘આજ્ઞાચક્ર’માં સ્થિત હોય છે. શાસ્ત્રો અનુસાર આજે મા કાત્યાયનીની પૂજા કરવાનો નિયમ છે. હિન્દુ માન્યતાઓ અનુસાર, મા કાત્યાયનીની કૃપાથી, ભક્તોના તમામ શુભ કાર્યો પૂર્ણ થાય છે. જાણો માતાના જન્મ પાછળની કથા
કાત્યાયનીએ મા પાર્વતીનું જ બીજું નામ છે. ઉમા, કાત્યાયની, ગૌરી, કાળી, શાકંભરી, હેમાવતી, ઈશ્વરી વગેરે નામો પણ એમના જ છે. પરમેશ્વરના નૈસર્ગિક ક્રોધમાંથી ઉત્પન્ન થયેલા મા કાત્યાયનીએ સિંહ પર સવાર થઈને મહિષાસુરનો વધ કરેલો. ઈસવીસન પૂર્વે બીજી શતાબ્દીમાં લખાયેલ મહાભાશ્યમાં પણ કાત્યાયની દેવીનો ઉલ્લેખ છે. બુદ્ધ અને જૈન ગ્રંથોમાં પણ એમનો ઉલ્લેખ છે.
મા કાત્યાયની ચાર ભુજાધારી છે. જમણી તરફની બે ભુજાઓ પૈકી ઉપરની ભુજા દ્વારા માતા ભયથી મુક્તિ અપાવનારા આશિર્વાદ આપે છે. જ્યારે નીચેની ભુજા દ્વારા સાધકને વરદાન આપે છે. ડાબી બાજુએ ઉપરની ભુજામાં દુષ્ટોના વધ માટે તલવાર ધારણ કરી છે, જ્યારે નીચેની ભુજામાં કમળનું પુષ્પ ધારણ કર્યું છે. માતા સિંહ પર સવાર છે.
પૌરાણિક કાળમાં કત નામના એક મહર્ષિ હતા. એમના પુત્ર એટલે ઋષિ કાત્ય. એમના જ ગોત્રમાં વિશ્વપ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન જન્મ્યા. મહર્ષિ કાત્યાયને અનેક વર્ષો સુધી મા ભગવતી પરામ્બાની અતિ કઠિન ઉપાસના કરી. એમની ઈચ્છા હતી કે સાક્ષાત મા ભગવતી એમના ઘરે પુત્રી બનીને અવતાર લે. કઠિન તપસ્યાથી પ્રસન્ન થયેલા મા ભગવતીએ મહર્ષિ કાત્યાયનની ઈચ્છા પૂર્ણ કરવા માટે એમના ઘરે પુત્રી બનીને જન્મ લીધો.
જ્યારે પૃથ્વી ઉપર દાનવ મહિષાસુરનો અત્યાચાર વધી ગયો. એ સમયે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દ્વારા પોતાના તેજનો અંશ આપીને એક દેવી ઉત્પન્ન કરવામાં આવ્યા. એવું કહેવાય છે કે આ એ જ દેવી હતા, જેમણે મહર્ષિ કાત્યાયનને ત્યાં જે પુત્રી જન્મ લીધેલો. આ દેવીની સર્વપ્રથમ પૂજા મહર્ષિ કાત્યાયને કરી. આથી એ કાત્યાયની દેવી કહેવાયા. આ કાત્યાયની દેવીએ મહિષાસુરનો વધ કર્યો હતો. તેથી જ માતા કાત્યાયનીને મહિષાસુર મર્દિની પણ કહેવામાં આવે છે. આ સિવાય માતા રાણીને રાક્ષસો અને દાનવોનો નાશ કરનાર દેવી કહેવામાં આવે છે.
પૌરાણિક કથાઓ અનુસાર, મા કાત્યાયનીની પૂજા ભગવાન રામ અને શ્રી કૃષ્ણ દ્વારા પણ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે ગોપીઓએ ભગવાન શ્રીકૃષ્ણને તેમના પતિ તરીકે મેળવવા માટે દેવી દુર્ગાના આ સ્વરૂપની પૂજા કરી હતી. બ્રહ્માંડમાં ધર્મ જાળવવા માટે મા દુર્ગાએ આ અવતાર લીધો હતો.
(નોંધ- આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને બિનસાંપ્રદાયિક માન્યતાઓ પર આધારિત છે, જે માત્ર સામાન્ય જનહિતને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp