નવી દિલ્હી: પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા ભાગેડુ વિજય માલ્યા (Vijay Malya), નિરવ મોદી (Nirav Modi) અને મેહુલ ચોકસી (Mehul Choksi) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઇડીએ ત્રણેયની ૧૮૧૭૦.૦૨ કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે, જે બેંકોને થયેલ નુકસાનના ૮૦.૪૫ ટકા છે. ઈડી તરફથી જણાવવામાં આવ્યું છે કે કુલ જપ્ત સંપત્તિમાંથી ૯૩૭૧.૧૭ કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર તેમજ સરકારી બેંકોને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.
ઇડી દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું કે, ઇડીએ ન ફક્ત પીએમએલએ હેઠળ વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોક્સીની ૧૮,૧૭૦.૦૨ કરોડની સંપત્તિ જપ્ત કરી છે પરંતુ ૯૩૭૧ .૧૭ કરોડ રૂપિયા સરકારી બેંકોને ટ્રાન્સફર પણ કરી દેવામાં આવ્યા છે.
ઇડીએ જણાવ્યું કે ત્રણેય ભાગેડુ વેપારીઓના કારણે બેંકોને ૨૨૫૮૫.૮૩ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે જેમાંથી ૧૮૧૭૦.૦૨ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચુકી છે. ઇડીનું કહેવું છે કે વિજય માલ્યા અને પીએનબી બેંક ગોટાળામાં બેંક દ્વારા ગુમાવાયેલા ૪૦ ટકા પૈસા પીએમએલએ હેઠળ જપ્ત કરવામાં આવેલ શેરના વેચાણ દ્વારા પ્રાપ્ત થયા હતા. ઈડીએ કહ્યું કે કુલ સંપત્તિમાંથી ૯૬૯ કરોડ રૂપિયા વિદેશોમાં જપ્ત કરવામાં આવ્યા છે.
ત્રણેયના પ્રત્યાર્પણ માટે કામગીરી ચાલી રહી છે
ત્રણેય ભાગેડુ આરોપીઓ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગની તપાસ બાદ પ્રત્યાર્પણ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જે મુજબ યુકે, એન્ટીગુઆ અને બાર્બુડામાં નિવેદન કરી દેવાયું છે. ઇડીએ વિજય માલ્યાના પ્રત્યાર્પણને લઈને કહ્યું છે કે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે મેજિસ્ટ્રેટ કોર્ટે આદેશ આપ્યો હતો જેની ઉપર યુકેની હાઈકોર્ટ દ્વારા મહોર લાગી ગઈ છે. વિજય માલ્યાને યુકે સુપ્રીમ કોર્ટમાં આવેદન કરવા માટે મંજૂરી મળી નથી જેથી તેનું ભારત પ્રત્યાર્પણ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત વેસ્ટમીંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે નિરવ મોદીના પ્રત્યાર્પણનો પણ આદેશ આપ્યો છે. નિરવ મોદી હાલ લંડનની જેલમાં છે જયારે મેહુલ ચોક્સી હાલમાં જ ડોમિનિકામાં પકડાયો હતો. ત્યારબાદ તેને ભારત લાવવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે.