રાજધાની ગાંધીનગર આ બીમારીના ભરડામાં, ગૃહમંત્રી અમિત શાહે વહીવટીતંત્રને આપી કડક સૂચના

રાજધાની ગાંધીનગર આ બીમારીના ભરડામાં, ગૃહમંત્રી અમિત શાહે વહીવટીતંત્રને આપી કડક સૂચના

01/05/2026 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રાજધાની ગાંધીનગર આ બીમારીના ભરડામાં, ગૃહમંત્રી અમિત શાહે વહીવટીતંત્રને આપી કડક સૂચના

ગુજરાતની રાજધાની ગાંધીનગર દૂષિત પાણીના કારણે ટાઇફોઇડની ઝપેટમાં આવ્યું છે, ટાઇફોઇડના કેસોમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે.  શહેરની સિવિલ હોસ્પિટલમાં 100 થી વધુ બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. આદિવાડા ગામ અને સેક્ટર 24, 26, 27 અને 29માં પીવાના પાણીમાં ગટરનું પાણી દૂષિત થવાને કારણે આ બીમારી ફેલાઈ, જેના કારણે લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ બીમાર છે. આ દરમિયાન, ગુજરાત સરકારે જણાવ્યું હતું કે રવિવારે ગાંધીનગર શહેરમાં ટાઇફોઇડના લગભગ 100 શંકાસ્પદ કેસ નોંધાયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વહીવટીતંત્રને યુદ્ધના ધોરણે કામ કરવાનો નિર્દેશ આપ્યો છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત વરિષ્ઠ અધિકારીઓને હોસ્પિટલમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા સૂચના આપવામાં આવી છે. દાખલ દર્દીઓના પરિવારો માટે ભોજન અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીઓની સારવાર માટે 22 ડૉક્ટરોની ટીમ બનાવવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ફોન પર જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી ત્રણ વખત પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. 104 શંકાસ્પદ કેસ ઓળખાયા છે. વહીવટીતંત્ર સારવારની સાથે સાથે દેખરેખ વ્યવસ્થાને સતત મજબૂત બનાવી રહ્યું છે. દર્દીઓ અને તેમના પરિવારોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


ગૃહમંત્રીએ અધિકારીઓ સાથે વાત કરી...

ગૃહમંત્રીએ અધિકારીઓ સાથે વાત કરી...

રાજ્ય સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘પાણીની પાઇપલાઇનમાં લીકેજ થવાને કારણે ગાંધીનગર શહેરના સેક્ટર 24, 28 અને આદિવાડા વિસ્તારોમાં થોડા દિવસો અગાઉ પાણીજન્ય ટાઇફોઇડના શંકાસ્પદ કેસ નોંધાયા હતા. અમિત શાહે પાઇપલાઇનનું તાત્કાલિક સમારકામ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યની રાજધાનીમાં અત્યાર સુધીમાં ટાઇફોઇડના 113 શંકાસ્પદ કેસ નોંધાયા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આમાંથી 19 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે 94 દર્દીઓ હાલમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને સેક્ટર 24 અને 29માં આવેલા આરોગ્ય કેન્દ્રોમાં સારવાર લઈ રહ્યા છે, અને તેમની સ્થિતિ સ્થિર છે.’

પ્રેસ રીલિઝમાં જણાવાયું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં 24 કલાક OPD (આઉટપેશન્ટ વિભાગ) શરૂ કરવામાં આવ્યો છે, અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સંબંધીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગાંધીનગરના લોકસભા સાંસદ અમિત શાહ, વર્તમાન પરિસ્થિતિ અંગે અપડેટ મેળવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે સતત સંપર્કમાં છે.

તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને પરિસ્થિતિનો સામનો કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરવા નિર્દેશ આપ્યો છે. રીલિઝમાં જણાવાયું છે કે અમિત શાહે રવિવારે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોન દ્વારા વાત કરી હતી અને તેમને ખાતરી કરવા જણાવ્યું હતું કે ટાઈફોઈડથી અસરગ્રસ્ત બાળકો અને નાગરિકોને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળે.

તેમણે અધિકારીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અસરગ્રસ્ત દર્દીઓ અને તેમના સંબંધીઓને ખોરાક પૂરો પાડવાનો પણ નિર્દેશ આપ્યો હતો. આ રીલિઝમાં જણાવાયું છે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ બીમારીને વધુ ફેલાતી રોકવા માટે અસરગ્રસ્ત અને આસપાસના વિસ્તારોમાં લીકેજનું તાત્કાલિક સમારકામ અને પ્લમ્બિંગનું સંપૂર્ણ નિરીક્ષણ કરવાનો આદેશ પણ આપ્યો છે.


20,800 થી વધુ ઘરોનું નિરીક્ષણ...

20,800 થી વધુ ઘરોનું નિરીક્ષણ...

રીલિઝમાં વધુમાં જણાવાયું છે કે શંકાસ્પદ ટાઇફોઇડ કેસોને જોતાં ગાંધીનગર શહેરમાં 75 આરોગ્ય ટીમોએ સઘન આરોગ્ય વ્યવસ્થાપન અને સર્વેક્ષણ હાથ ધર્યું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સર્વેક્ષણ ટીમોએ અત્યાર સુધીમાં 20,800 થી વધુ ઘરોનું નિરીક્ષણ કર્યું છે અને 90,000 થી વધુ લોકોને આવરી લીધા છે. સાવચેતીના પગલા તરીકે, 30,000 ક્લોરિન ગોળીઓ અને 20,600 ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

સર્વેક્ષણ ટીમો ઘરે-ઘરે જઈને જાગૃતિ પત્રિકાઓનું વિતરણ કરી રહી છે, લોકોને પાણી ઉકાળવા, બહારનો ખોરાક ખાવાનું ટાળવા અને હાથ સાફ રાખવા વિનંતી કહી રહી છે. બીમારીને ફેલાતી રોકવા માટે, પાણીના 'સુપર ક્લોરિનેશન'ની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે, અને પીવાના પાણીમાં ક્લોરિનેશનનું સ્તર પણ તપાસવામાં આવી રહ્યું છે. તેમાં એમ પણ જણાવાયું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં પાઇપલાઇનમાં જોવા મળેલા કેટલાક લીકેજને તાત્કાલિક રિપેર કરવામાં આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top