મંદિર-દરગાહના વિવાદ પર મદ્રાસ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો! તમિલનાડુ સરકારને ફટકો! જાણો શું છે આ વિવાદ?
તમિલનાડુના મદ્રાસ હાઈકોર્ટથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. પ્રસિદ્ધ થિરુપરંકુંદ્રમ પહાડી પર કાર્તિગઈ દીપમ પ્રગટાવવાને લઈને ચાલી રહેલા લાંબા વિવાદમાં મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેમાં હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે પહાડી પર આવેલા પથ્થરના સ્તંભ(દીપથૂન) પર દીવો પ્રગટાવવાના અગાઉના આદેશને યથાવત રાખતા સત્તારૂઢ DMK સરકારને મોટો ઝટકો આપ્યો છે.
આ મુદ્દે જસ્ટિસ જી. જયચંદ્રન અને કે.કે. રામકૃષ્ણનની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે, જે જગ્યાએ આ પથ્થરનો સ્તંભ આવેલો છે, તે જગ્યા મૂળભૂત રીતે ભગવાન સુબ્રમણ્યમ સ્વામી મંદિરની માલિકીની છે. આ ઉપરાંત કોર્ટે સરકારની કાયદો અને વ્યવસ્થા બગડવાની આશંકા વ્યક્ત કરતી દલીલને ફગાવી દીધી હતી. અને ટકોર કરી હતી કે, 'તંત્રએ આ મુદ્દાને બે સમુદાયો વચ્ચેના મતભેદ ઉકેલવાની તક તરીકે જોવો જોઈએ.'
ઉપરાંત, થિરુપરંકુંદ્રમ પહાડી એક સંરક્ષિત અને ઐતિહાસિક સ્થળ હોવાને કારણે, મદ્રાસ હાઈકોર્ટે દીવો પ્રગટાવવાની મંજૂરી આપવાની સાથે કેટલીક ચુસ્ત શરતો પણ મૂકી છે. અદાલતે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, પહાડી પર કાર્તિગઈ દીપમ પ્રગટાવવાની પ્રક્રિયા શરૂ કરતા પહેલા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ(ASI)ની સલાહ લેવી અનિવાર્ય રહેશે, જેથી આ પ્રાચીન સ્થળના વારસાને કોઈ નુકસાન પહોંચે નહિં. અને કોર્ટે સ્થાનિક વહીવટીતંત્રને સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે પહાડી પર એક સમયે કેટલા લોકો એકઠા થઈ શકશે, તેની મર્યાદા નક્કી કરવાની મહત્વની જવાબદારી પણ સોંપી છે. મહત્વનું છે કે, આ નિર્ણય સાથે કોર્ટે ધાર્મિક આસ્થા અને ઐતિહાસિક વારસાના જતન વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.
નોંધનીય છે કે, તામિલનાડુની આ થિરુપરંકુંદ્રમ પહાડી ભગવાન મુરુગનનું પવિત્ર નિવાસસ્થાન ગણાય છે. જ્યાં એક દરગાહ પણ આવેલી છે. અને આ મંદિર અને દરગાહ વચ્ચે વર્ષ 1920થી તણાવ ચાલી રહ્યો છે. જે અંતર્ગત અગાઉ 1996માં કોર્ટે પરંપરાગત સ્થળે દીવો પ્રગટાવવાની મંજૂરી આપી હતી, પરંતુ શ્રદ્ધાળુઓ દરગાહ પાસેના આસ્થાના સ્તંભ સમા 'દીપથૂન' પર દીવો પ્રગટાવવાની માંગ કરી રહ્યા હતા. જેને લઈને મદ્રાસ હાઇકોર્ટે આ મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp