દિલ્હીમાં મસ્જિદ પાસે બુલડોઝર એકશનમાં આવતાં થયો હોબાળો, 10 જેટલાં પથ્થરમારોની અટકાયત! જાણો સમગ્ર હકીકત
દેશની રાજધાની દિલ્હીથી ફરી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના રામલીલા મેદાન પાસે આવેલા તુર્કમાન ગેટ વિસ્તારમાં અડધી રાતે ભારે હોબાળો થયો હતો. માહિતી મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (MCD)ની ટીમ દિલ્હી હાઈકોર્ટના આદેશ પર ફૈઝ-એ-ઈલાહી મસ્જિદની આસપાસના ગેરકાયદેસર બાંધકામોને તોડવા માટે ગઈ હતી. ત્યાં સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરતાં પરિસ્થિતિ જોતજોતામાં હિંસક બની ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા અત્યાર સુધીમાં પોલીસના બોડી વોર્ન કેમેરાના આધારે 10 જેટલાં પથ્થરમારોની અટકાયત કરવામાં આવી છે. તેથી સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે.
MCD અધિકારીઓના જણાવ્યા મુજબ, કોર્ટના આદેશ મુજબ મસ્જિદને અડીને આવેલા દવાખાના અને બારાત ઘર(સમુદાય ભવન)ને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા હતા. રામલીલા મેદાન વિસ્તારમાં થયેલા સર્વે બાદ આ બાંધકામોને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અતિક્રમણ હટાવવા માટે પ્રશાસને લોકોને પહેલાથી જ સમય આપ્યો હતો. MCD દ્વારા દિલ્હી હાઈકોર્ટના નિર્દેશો હેઠળ 7 જાન્યુઆરીની વહેલી સવારે આ અતિક્રમણ ક્ષેત્રમાં તોડફોડની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી માટે મંગળવારે મોડી રાત્રે જ નગર નિગમના 17 બુલડોઝર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
મળતી માહિતી મુજબ, MCDની કાર્યવાહી શરૂ થતાં જ સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન સાથે પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. સમગ્ર વિસ્તારમાં તંગદિલી ભર્યો માહોલ સર્જાતા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વધારાના પોલીસ દળને તાત્કાલિક ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યું હતું. પથ્થરમારો શરૂ થતાં પોલીસે ભીડને વિખેરવા માટે આંસુ ગેસના ગોળા છોડ્યા હતા અને લોકોને ત્યાંથી ખદેડ્યા હતા. આ તોડફોડની કાર્યવાહીને કારણે વિસ્તારની ટ્રાફિક વ્યવસ્થા પર પણ ગંભીર અસર પડી છે. જેએલએન માર્ગ, અજમેરી ગેટ, મિન્ટો રોડ અને દિલ્હી ગેટની આસપાસ વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે મુસાફરોને વૈકલ્પિક માર્ગો અપનાવવાની સલાહ આપી છે. આ સાથે લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp