એક તરફ બીજેપીનું કોંગ્રેસ અને ઔવૈસી સાથે ગઠબંધન! ત્યારે દેવેન્દ્ર ફડણવીસે ચેતવણી આપતાં કહ્યું - 'રદ કરવામાં...' જાણો વિગતે
મહારાષ્ટ્રમાં 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણી પહેલા એવા ગઠબંધનો બની રહ્યા છે કે, લોકોને સમાજમાં નથી આવી રહ્યું કે આ થઈ શું રહ્યું છે? લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું મહારાષ્ટ્રના રાજકારણમાં હવે સત્તા માટે કંઈ શક્ય છે? માહિતી છે કે, અંબરનાથમાં, ભાજપ "કોંગ્રેસ મુક્ત ભારત" ના સૂત્રને ભૂલીને શિંદે સેનાને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસ સાથે જોડાઈ છે. અહીં, ભાજપના તેજશ્રી કરંજુલે કોંગ્રેસના સમર્થનથી મેયર બન્યા છે. જ્યારે બીજી તરફ અકોલાના આકોટમાં, ભાજપે ઓવૈસીની પાર્ટી, AIMIM સાથે ગઠબંધન કરી સત્તા બનાવી છે.
ભાજપ, કોંગ્રેસ અને AIMIM - આ ત્રણ પક્ષો જે વૈચારિક રીતે એકબીજાના વિરોધી માનવામાં આવે છે. એવી ચર્ચા છે કે, સ્થાનિક સમીકરણો અને સત્તા ગતિશીલતાએ આ કટ્ટર હરીફોને મિત્રોમાં ફેરવી દીધા છે. વિરોધ પક્ષ તેને 'અવસરવાદ' કહી રહ્યો છે, જ્યારે ભાજપ તેને 'સ્થાનિક વિકાસ'ની જરૂરિયાત કહી રહ્યો છે. ત્યારે સ્થાનિક સ્તરના આ હોબાળાએ સમગ્ર મુંબઈમાં રાજકારણ ગરમાવ્યું છે. તેવામાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ પ્રકારના ગઠબંધનની નિંદા કરતા સ્પષ્ટ કહ્યું છે કે, પાર્ટી આવી કોઈપણ ભાગીદારીને સહન નહીં કરશે. આ બન્ને જ ગઠબંધનોને પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વની મંજૂરી મળી નથી. આવા તમામ કરારોને તાત્કાલિક રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે ભૂલ કરનારા નેતાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.
મહારાષ્ટ્રની સરકાર ભલે ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી સાથે મળીને 'મહાયુતિ' ચલાવી રહ્યા હોય, પરંતુ સ્થાનિક સ્તરે ચિત્ર કંઈક અલગ જ છે. અંબરનાથનો આ કિસ્સો મહાયુતિ માટે ચિંતાનો વિષય છે. એક તરફ રાજ્ય સ્તરે નેતાઓ એકતાની વાતો કરે છે, તો બીજી તરફ નગર પાલિકામાં ભાજપે કોંગ્રેસ સાથે હાથ મિલાવીને શિંદે જૂથને વિપક્ષમાં બેસવા મજબૂર કરી દીધું છે. આ ઘટના બાદ હવે શિંદે છાવણીમાં ભાજપ પ્રત્યે ભારે અવિશ્વાસ જોવા મળી રહ્યો છે.
આ ગઠબંધનથી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં સખત રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે, જે પક્ષ રાત-દિવસ 'કોંગ્રેસ મુક્ત ભારત'નો નારો લગાવતો હતો, તે આજે સત્તાની લાલચમાં કોંગ્રેસના ખોળામાં જઈને બેસી ગયો છે. આ શિવસેનાની પીઠમાં છરો ભોંકવા સિવાય બીજું કંઈ જ નથી. ગઠબંધનના ધર્મનું અહીં સરેઆમ અપમાન થયું છે.’
આ અંગે ભાજપે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ‘શિંદે જૂથ છેલ્લા 25 વર્ષથી ભ્રષ્ટાચારમાં લિપ્ત હતું અને વારંવાર ચર્ચા કરવા છતાં તેઓ કોઈ પ્રતિસાદ આપતા નહોતા, તેથી આ નિર્ણય લેવો પડ્યો. અમે ગઠબંધન માટે તૈયાર હતા. અમે અંબરનાથ નગર પરિષદમાં સાથે મળીને સત્તા હાંસલ કરવા શિંદે જૂથના નેતાઓ સાથે અનેકવાર ચર્ચાના પ્રયાસો કર્યા, પરંતુ તેઓ તરફથી કોઈ જ સકારાત્મક પ્રતિસાદ ના મળ્યો. સત્તાના સમીકરણો જાળવી રાખવા માટે આખરે આ રસ્તો અપનાવવો પડ્યો છે.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp