જાણીતા આર્ટિસ્ટ કાનન ખાંટના પેઇન્ટિંગ્સનું પ્રતિષ્ઠિત જંહાગીર આર્ટ ગેલેરીમાં પ્રદર્શન
મુંબઈ : જાણીતા આર્ટિસ્ટ કાનન ખાંટ (Kanan Khant) કાલાઘોડા, મુંબઈ સ્થિત જહાંગીર આર્ટ ગેલેરી ખાતે તારીખ 14 થી 20મી ડિસેમ્બર દરમિયાન તેમનું એક્ઝિબીશન ‘માયા’ લઈને આવી રહ્યા છે. તેમનું આ આર્ટવર્ક મુખ્ય ધારામાંથી ભૂલાઈ ચુકેલા લોક કારીગરોને અને તેમાં પણ ખાસ કરીને મહિલા કલાકારોને સમર્પિત હોવાનું કહેવાયું છે. ખૂબ વખણાયેલી 'માયા' સિરીઝમાં તેમણે રાધા-કૃષ્ણની કથાઓથી પ્રેરિત એવા કેટલાંક વિશિષ્ટ પેઇન્ટિંગ પણ આ વખતે સામેલ કર્યાં છે.
કાનન કહે છે, ‘મારા આ આર્ટવર્ક ‘માયા’માં મેં કલમકારી શૈલી અપનાવી છે અને તેના દ્વારા હું સ્ત્રીત્વ, આધ્યાત્મિકતા અને પૌરાણિક કથાઓના ઘટકોને જોડી રહી છું. મોટાભાગના લોકો એ નથી જાણતા કે, વર્ષો પહેલા જે કલાકારો ગામડે-ગામડે રખડતા હતા તેઓ પોતાની વાર્તાઓ કહેવા માટે કલમકારીનો ઉપયોગ કરતા હતા. હું મારી કળા દ્વારા વાર્તા કહી રહી છું.’
તેઓ ઉમેરે છે, 'હું સતત શીખતી રહું છું, મારા આર્ટવર્ક સાથે નવતર પ્રયોગો કરતી રહું છું. હું વિદ્યાર્થી છું, જિંદગી પાસેથી રોજ કંઈક ને કંઈક નવું શીખતી રહું છું.'
આ પહેલાં પણ નહેરુ આર્ટ ગેલેરી અને ઇન્ડિયા આર્ટફેરમાં કાનન ખાંટની કલાકૃતિઓનું પ્રદર્શન (Exhibition) યોજાઈ ચૂક્યું છે. તેઓ મુંબઈની પ્રખ્યાત નિર્મલ નિકેતન કૉલેજના કમર્શિયલ આર્ટના ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે. ભારતના અગ્રણી મેગેઝીનમાં પણ તેમણે આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે અને એડ એજન્સી તથા એનિમેશન ફિલ્મ સ્ટુડિયોમાં પણ આર્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. વર્ષ 2015થી તેઓ સ્વતંત્ર આર્ટિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે અને અનેક ઍક્ઝિબિશન્સમાં તેમણે પોતાની કળાનું પ્રદર્શન કર્યું છે.
આગામી વર્ષે માર્ચ મહિનામાં ‘વર્લ્ડ આર્ટ દુબઇ’ ખાતે યોજાનારા એક્ઝિબીશનમાં પણ કાનન ખાંટના ચિત્રોનું પ્રદર્શન થશે. તેમની કલાકૃતિઓએ ભારત અને વિદેશમાં ઘણા કલાપ્રેમીઓના હૃદયમાં અને ઘરોમાં વિશેષ સ્થાન મેળવ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp