બેન્ક હડતાળ પર કર્મચારી સંગઠનોએ લીધો એવો નિર્ણય કે લોકોએ રાહતના શ્વાસ લીધા
Bank Strike: દેશના કરોડો સામાન્ય લોકો માટે એક મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે. બેંક કર્મચારી સંગઠનોએ આગામી સપ્તાહે 2 દિવસની દેશવ્યાપી હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે નાણા મંત્રાલય અને ભારતીય બેંક્સ એસોસિએશન (IBA) તરફથી તેમની માગણીઓ પર હકારાત્મક ખાતરી મળ્યા બાદ સંગઠનોએ હડતાળ મોકૂફ રાખી છે. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર સંગઠનોએ સોમવાર અને મંગળવારે દેશભરની બેંકોમાં 2 દિવસીય દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી. 9 બેંક કર્મચારી યુનિયનોના સંગઠન યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)એ 24 અને 25 માર્ચે હડતાળનું આહ્વાન કર્યું હતું.
બેંક કર્મચારી સંગઠનોની મુખ્ય માગણીઓમાં દર અઠવાડિયે 2 દિવસની રજા અને તમામ કર્મચારી કેડરમાં પૂરતી ભરતીનો સમાવેશ થાય છે. પૂર્વે નિર્ધારિત હડતાળ મુલતવી રાખવાનો નિર્ણય મુખ્ય શ્રમ કમિશનર સમક્ષ લેવામાં આવ્યો છે, જેમણે તમામ પક્ષોને સમાધાન બેઠક માટે બોલાવ્યા હતા. ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના પ્રતિનિધિઓ અને નાણા મંત્રાલયે કર્મચારી સંગઠનોની માગણીઓ પર વિચાર કરવાની ખાતરી આપી હતી. UFBUએ કર્મચારીઓની કામગીરીની સમીક્ષા અને લિંક્ડ ઇન્સેન્ટિવ્સ (PLI) પર ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસિસ (DFS)ની તાજેતરની સૂચનાઓને તાત્કાલિક પાછી ખેંચવાની પણ માગ કરી હતી. કર્મચારી સંગઠનનું કહેવું છે કે, આ સૂચનાથી કર્મચારીઓની નોકરીની સુરક્ષા જોખમાય છે અને કર્મચારીઓ વચ્ચે વિભાજન થાય છે.
બેંક કર્મચારી સંગઠનોના આ તાજેતરના નિર્ણયથી દેશના કરોડો સામાન્ય ગ્રાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કર્મચારી સંગઠનોએ હડતાળનો નિર્ણય યથાવત રાખ્યો હોત તો સતત 4 દિવસ સુધી બેંકોનું કામકાજ ઠપ થઈ ગયું હોત. વાસ્તવમાં, 22મી માર્ચ મહિનાનો ચોથો શનિવાર છે અને રવિવારના કારણે 23મી માર્ચે દેશની તમામ બેંકોમાં રજા રહેશે. ત્યારબાદ સોમવાર, 24 માર્ચ અને મંગળવાર, 25 માર્ચે હડતાળ નક્કી કરવામાં આવી હતી. એવામાં, સામાન્ય લોકોના કામ સતત 4 દિવસ અટકી શકતા હતા, જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp