રામ-સીતા વિવાહના શુભ પ્રસંગે અયોધ્યાના ભવ્ય રામમંદિર પર ધ્વજારોહણ સંપન્ન, જુઓ વિડિયો
આજનો દિવસ દેશના સમગ્ર હિંદુ સમાજ માટે ખૂબ જ મહત્વનો બની રહ્યો છે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર હાલ જય શ્રી રામના નાદ અને મંત્રોચ્ચારથી ગુંજી રહ્યું છે. જે દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ લલ્લા મંદિર પરિસરમાં પૂજા વિધિ કરીને મંદિરની ટોચ પર ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. રામ મંદિરની ટોચ પર ફરકાવવામાં આવેલા ભગવા રંગના ધર્મ ધ્વજમાં ઓમ, સૂર્ય દેવ અને કોવિદાર વૃક્ષ અંકિત કરવામાં આવ્યા છે. આ ધ્વજારોહણ મંદિરના નિર્માણ પૂર્ણ થવાનું અને એક મુખ્ય સાંસ્કૃતિક ઉજવણીનું પ્રતીક છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
સમારોહ દરમિયાન પીએમ મોદી સાથે RSS વડા મોહન ભાગવત અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. રામ મંદિરનું નિર્માણ કાર્ય સંપૂર્ણ થવા પર ધર્મની ધજા લહેરાઈ ગઈ છે. સમગ્ર મંદિર પરિસરમાં જય શ્રી રામના નારા લાગ્યા હતા. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં ભવ્ય રોડ શો કરીને રામ મંદિરે પહોંચ્યા હતા. મોદીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વડાપ્રધાને પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. અ દરમિયાન તેમણે વિવિધ મંદિરોના પણ દર્શન કર્યા હતા.
સનાતન ધર્મમાં મંદિર પર ધ્વજા ફરકાવવાની પરંપરા ખુબ પ્રાચીન અને મહત્વપૂર્ણ છે. ગરુણ પુરાણમાં મળતા ઉલ્લેખ મુજબ મંદિરો પર ફરકાવવામાં આવેલી ધજા દેવતાની ઉપસ્થિતિ દર્શાવે છે. કહેવાય છે કે જે દિશામાં તે લહેરાય છે તે સમગ્ર વિસ્તાર પવિત્ર ગણાય છે. શાસ્ત્રોમાં મંદિરના શિખરનો ધ્વજ દેવતાઓની મહિમા, શક્તિ, અને સંરક્ષણનું પ્રતિક ગણાવવામાં આવ્યો છે.
ભગવાન રામના ભવ્ય મંદિર પર ફરકાવવામાં આવેલ ધ્વજ કેસરિયા રંગનો છે. જેણે ખાસ ગુજરાતના અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ ધ્વજની લંબાઈ 22 ફૂટ અને પહોળાઈ 11 ફૂટ છે. જ્યારે ધ્વજદંડ 42 ફૂટનો છે. આ ધ્વજને 161 ફૂટના શિખરે લહેરાવવામાં આવ્યો છે. આ ધ્વજ પર 3 ચિન્હ બનાવવામાં આવ્યા છે. સૂર્ય, ॐ અને કોવિદાર વૃક્ષ. સનાતન પરંપરામાં કેસરિયો રંગ ત્યાગ, બલિદાન, વીરતા અને ભક્તિનું પ્રતિક ગણાય છે. ભગવો એ જ રંગ છે જે જ્ઞાન, પરાક્રમ, સમર્પણ અને સત્યના વિજયનું પ્રતિનિધિત્વ કરે છે. ધ્વજારોહણ દરમિયાન ધ્વજ ટોચ પર પહોંચતાની સાથે જ સમગ્ર સંકુલ "જય શ્રી રામ" ના નારાથી ગુંજી ઉઠ્યું. આ સાથે, રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું.
અયોધ્યાના સાધુ સંતો મુજબ, ત્રેતા યુગમાં ભગવાન રામ અને માતા સીતાના વિવાહ માર્ગશીર્ષ મહિનાની શુકલ પક્ષની પંચમી તિથિએ થયા હતા. અને 25 નવેમ્બર એટલે કે આજે પણ આ જ તિથિ છે. જેના આધારે દર વર્ષે વિવાહ પંચમીના દિવસે હિન્દુ પંચાંગમાં સૌથી વધુ વિવાહની તિથિ નિર્ધારિત કરાય છે. આ યાદગાર પ્રસંગે રામ મંદિરે ભવ્ય ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp