શું તમે પણ છો ચા-કોફીના રસિયા..? તો ચેતી જજો, ICMRએ આપી ગંભીર ચેતવણી! જાણો શું?
આપણા દેશમાં ઘણા લોકો એવા મળી જશે કે જે ચા પ્રેમીઓ છે, તો કેટલાક લોકો એવા દેખાશે કે જે ચાના બંધાણી છે. કોઈ પણ ઋતુમાં લોકો ચા પીવાનું પસંદ કરે છે. ચા વિના કોઈ કામ કરવું આ લોકોને સૂઝતું જ નથી. પરંતુ જો તમે પણ ચા પીતા હોવ તો તો થોડું ધ્યાન રાખો. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ ભારતીયો માટે ડાયેટ સંબંધિત માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકામાં સ્વસ્થ જીવનની સાથે વિવિધ સ્વસ્થ ડાયેટ પર ભાર મૂકવામાં આવ્યો છે. એડવાઈઝરીમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન (NIN)ની રિસર્ચ વિંગ મેડિકલ પેનલનું કહેવું છે કે ચા અને કોફીનું સેવન મર્યાદિત હોવું જોઈએ.ICMRએ લોકોને ભોજન પહેલાં અને પછી તેનું સેવન કરવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી દીધી છે.
વૈજ્ઞાનિકોએ ચા અને કોફીના સેવન માટે ઇનકાર એટલા માટે કર્યો કે જેથી એક દિવસમાં 300 મિલિગ્રામથી વધુ કેફીન શરીરમાં ન જાય. એક વ્યક્તિ એક દિવસમાં 300 મિલિગ્રામ કેફીન જ સહન કરી શકે છે. આનાથી વધારે તે શરીર માટે હાનિકારક હોઈ શકે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે વ્યક્તિએ ભોજનના ઓછામાં ઓછા એક કલાક પહેલા અને પછી કોફી અને ચા પીવાનું ટાળવું જોઈએ. કારણ કે કોફી અને ચામાં ટેનીન નામનું કમ્પાઉન્ડ હોય છે, તેના સેવનથી શરીરમાં આયર્નનું શોષણ અવરોધાય છે.ટેનીન કમ્પાઉન્ડનો અર્થ એ છે કે તે તમે જે આહાર લો છો તેમાંથી તમે મેળવતા આયર્નની માત્રા ઘટાડી નાખે છે. તે વ્યક્તિના પાચનતંત્ર પર પણ ખરાબ અસર કરે છે.
આયર્નની ઉણપને કારણે વ્યક્તિના શરીરમાં એનિમિયા જેવી સ્થિતિ ઉભી થાય છે. આના કારણે થાક લાગે છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, વારંવાર માથાનો દુખાવો થાય છે, હૃદયના ધબકારા વધવા લાગે છે, ત્વચા નિસ્તેજ થઈ જાય છે, વારંવાર બરફ ખાવાનું મન થાય છે. જેના કારણે વાળ પણ ખૂબ ખરી જાય છે. સંશોધકોનું કહેવું છે કે દૂધ વગરની ચા પીવાથી રક્ત પરિભ્રમણને પ્રોત્સાહન જેવા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. દૂધ વગરની ચા પીવાથી પેટના કેન્સરનું જોખમ ઓછું થઈ શકે છે. જોકે સંશોધકોએ તેના સેવન માટે સંપૂર્ણપણે ઇનકાર નથી કર્યો, તેમ છતાં તેઓએ કેફીનની માત્રા વિશે સાવચેત રહેવાની ચેતવણી આપી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp