PM મોદીનો કોંગ્રેસ પર જોરદાર પ્રહાર, બોલ્યા- કોંગ્રેસમાં નફરતનું ભૂત ઘૂસી ગયું છે, તેમાં દેશભક્તિની..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે આ પાર્ટી ટુકડે ટુકડે ગેંગ અને શહેરી નક્સલવાદીઓ દ્વારા ચલાવી રહ્યા છે. 'PM વિશ્વકર્મા યોજના'ના એક વર્ષ પૂર્ણ થવા પર મહારાષ્ટ્રના વર્ધામાં એક જાહેર સભાને સંબોધતા PM મોદીએ કહ્યું હતું, 'આજે તમે જે કોંગ્રેસ જુઓ છો તે પાર્ટી નથી, જેની સાથે મહાત્મા ગાંધી જેવા મહાન વ્યક્તિઓ જોડાયેલા હતા. કોંગ્રેસમાં નફરતનું ભૂત ઘુસી ગયું છે. આજે કોંગ્રેસમાં દેશભક્તિની આત્મા અંતિમ શ્વાસ લઇ ચૂકી છે. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ નેતાઓ દ્વારા વિદેશમાં અપાયેલા ભાષણોના ભારત વિરોધી એજન્ડાની પણ વાત કરી. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના આ વાત કહી હતી. રાહુલ ગાંધીને અનામત પ્રણાલી પર અમેરિકામાં પોતાના નિવેદનોને કારણે સત્તાધારી સરકારની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મહારાષ્ટ્રના વર્ધામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ્યારે મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડના ઘરે જઈને ગણેશ પૂજા કરી હતી, ત્યારે તેમના પર વિપક્ષના હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જાહેર સભામાં તેમણે કહ્યું હતું કે, આજની કોંગ્રેસ ગણપતિ પૂજાને પણ નફરત કરે છે. સ્વતંત્રતા સંગ્રામમાં લોકમાન્ય તિલકના નેતૃત્વમાં ગણપતિ ઉત્સવ ભારતની એકતાનો ઉત્સવ બની ગયો હતો. ગણેશ ઉત્સવમાં દરેક સમાજ અને દરેક વર્ગના લોકો ભેગા થાય છે. એટલે કોંગ્રેસ પાર્ટી પણ ગણપતિ પૂજાને નફરત કરે છે. હું ગણેશ પૂજનના કાર્યક્રમમાં ગયો ત્યારે કોંગ્રેસના તુષ્ટિકરણનું ભૂત જાગી ઉઠ્યું થયું. કોંગ્રેસે ગણપતિ પૂજાનો વિરોધ શરૂ કરી દીધો.
PM મોદીએ વધુમાં કહ્યું, કોંગ્રેસ તુષ્ટિકરણ માટે કંઈ પણ કરી રહી છે. તમે જોયું છે કે કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે ગણપતિ બાપ્પાને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. જે ગણપતિની મૂર્તિની લોકો પૂજા કરી રહ્યા હતા, તેને પોલીસ વાનમાં કેદ કરી દેવામાં આવી. ગણપતિનું આ અપમાન જોઈને આખો દેશ ગુસ્સામાં છે. મને આશ્ચર્ય છે કે કોંગ્રેસના સાથી પક્ષો પણ આ મુદ્દે મૌન છે. તેઓ કોંગ્રેસની સંગતીથી એટલા પ્રભાવિત છે કે તેમનામાં ગણપતિના અપમાનનો વિરોધ કરવાની પણ હિંમત નથી. આપણે એકજૂથ થઇને કોંગ્રેસના આ પાપોનો જવાબ આપવો પડશે."
એક મહિનામાં ત્રીજી વખત મહારાષ્ટ્રની મુલાકાતે પહોંચેલા PM મોદીએ વર્ધામાં NDA સરકારની યોજનાઓની સફળતા વિશે પણ જણાવ્યું. તેમણે કહ્યું, ODOP અને એકતા મોલ દ્વારા પરંપરાગત ઉત્પાદનોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તે નાના ઉદ્યોગોને વિકાસ કરવામાં મદદ કરી રહી છે. જે વર્ગ પાછળ રહી ગયો હતો તે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં મદદ કરશે. વિશ્વકર્મા યોજના દરેક પાસાઓનું ધ્યાન રાખે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp