Unseasonal rain again : એક બાજુ એપ્રિલ તપી રહ્યો છે અને મે કાળઝાળ અહેવાની શક્યતા છે, ત્યાં બીજી તરફ હવામાન ખાતા દ્વારા ફરી એક વાર માવઠાની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે ઓલરેડી ત્રણ-ચાર માવઠાનો માર વેઠી ચૂકેલા ખેડૂતો પર જાણે કુદરત કોપાયમાન થઇ હોય એવું લાગે છે. જો કે માવઠાને કારણે પાકને થનારા નુકસાનની અસર માત્ર ખેડૂતોને જ નહિ પણ દરેક સામાન્ય માનવીને વેઠવી પડશે. ગુજરાતના કયા વિસ્તારોમાં માવઠું આવવાની શક્યતા છે, એ પણ જાણી લો.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી બે દિવસ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર 27 અને 28 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જો કે શુક્રવારે ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ પડવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.
આગાહી મુજબ આજ રોજ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, બોટાદ સહિતના શહેરોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે 28 એપ્રિલે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, કચ્છ સહિતના વિસ્તારોમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદને પગલે ફરી એક વખત મોટા પાયે પાકને નુકસાન થઇ શકે છે. જેના કારણે ગુજરાતના ખેડૂતોની ચિંતા વધી છે.