‘1.4 કરોડ રૂપિયા અને..’, જાણો પ્લેન ક્રેશ બાદ પરિવારજનોને કેટલું મળે છે વળતર?
12 જૂનના રોજ, લંડન ગેટવિક જતી એર ઇન્ડિયાની AI171 ફ્લાઇટ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક ટેકઓફ કર્યા બાદ તરત જ ક્રેશ થઈ ગઈ. આ વિમાનમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 242 લોકો સવાર હતા, જેમાં 10 ક્રૂ મેમ્બર, 2 પાઇલટ અને 230 મુસાફરોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં બોઇંગ કંપનીનું B-787 ડ્રીમલાઇનર સામેલ હતું. આ પહેલી વખત નથી, જ્યારે બોઇંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.
આ અગાઉ પણ બોઇંગ કંપનીના ઘણા વિમાનો ક્રેશ થયા છે. બોઇંગ કંપનીનું કહેવું છે કે બોઇંગ 787 ડ્રીમલાઇનર પહેલી વખત ક્રેશ થયું છે. જોકે, બોઇંગનું 737 મેક્સ ઘણી વખત ક્રેશ થઈ ચૂક્યું હતું. આ વિમાનને અપડેટ કર્યા બાદ વર્ષ 2018, 2019 અને 2024માં પણ આ વિમાન ક્રેશ થયું હતું, જેમાં 500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે સવાલ એ ઊભો થાય છે કે જો આવા અકસ્માતમાં કોઈ મુસાફરનું મોત થાય છે, તો તેના પરિવારને કેટલું વળતર મળે છે અને તેને કોણ આપે છે. ચાલો જાણીએ કે એરલાઇન કંપનીઓ માટે નિયમો શું છે?
આજના સમયમાં, વિમાનમાં મુસાફરી કરવી જેટલી જોખમી છે, તેટલી જ અનુકૂળ પણ છે. કોઈ એક ભૂલને કારણે અકસ્માતનું જોખમ પણ વધી જાય છે. એવામાં, એરલાઇન કંપનીઓ અને DGCA દ્વારા કેટલાક કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેથી કટોકટીની સ્થિતિમાં, પીડિતોના પરિવારોને નાણાકીય લાભ મળી શકે. આ નિયમો ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે અલગ-અલગ છે.
1.4 કરોડનું વળતર
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં મૃત્યુ અથવા શારીરિક ઇજાની સ્થિતિમાં, ભારતમાં પરિચાલન કરનારી એરલાઇન્સ મોન્ટ્રિયલ કન્વેન્શન, 1999ના નિયમોથી બંધાયેલી છે, જે એક આંતરરાષ્ટ્રીય સંધિ છે, જેના પર ભારતે પણ હસ્તાક્ષર કર્યા છે. આ કન્વેન્શન હેઠળ, 128,821 સુધી સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) એટલે કે દરેક મુસાફર માટે લગભગ 1.4 કરોડ આપવામાં આવે છે. જો એ સાબિત થઇ જાય કે અકસ્માત એરલાઇનની ભૂલને કારણે થયો છે, તો આ વળતર વધુ વધી શકે છે. આ વળતર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર લાગૂ પડે છે, પરંતુ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ની માર્ગદર્શિકા અનુસાર, ભારતીય એરલાઇન્સ ઘણી વખત સ્થાનિક રૂટ માટે પણ સમાન કવરેજ પ્રદાન કરી શકે છે. આ વળતર એરલાઇન્સ અને વીમા કંપની દ્વારા આપવામાં આવે છે.
ઘણી વીમા કંપનીઓ લોકોને જોખમી મુસાફરીથી બચાવવા માટે કવરેજ આપે છે. તેમાં સામાન્ય રીતે 25 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીના આકસ્મિક મૃત્યુ લાભ અને 5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીના સ્થાયી અપંગતા વળતરનો સમાવેશ થાય છે. એવામાં, જો કોઈ મુસાફરે વીમો લીધો હોય, તો તેના પરિવારને આ કવરનો પણ લાભ મળશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp