CDS રાવત વિષે અયોગ્ય ટિપ્પણી કરનાર માજી સરપંચ વિરુદ્ધ લોકરોષ : લોકો સોશિયલ મિડીયા પર ગૃહમંત્રી હર્ષ સંઘવીને ટેગ કરી રહ્યા છે
રાજકારણમાં જેમ દુશ્મનનો દુશ્મન દોસ્ત ગણાય, એમ દુશ્મનના દોસ્તને પણ દુશ્મન ગણી લેવામાં આવે છે! અને આવી ‘વેચાતી લીધેલી’ દુશ્મનીમાં ક્યારેક વિવેકભાન અને મર્યાદા ચૂકી જવાતી હોય છે. છેલ્લા થોડા સમયથી ભારતમાં વારંવાર એવી ઘટનાઓ બની રહી છે, જેમાં રાજકીય વિચારભેદને કારણે ગમે એવા સન્માનનીય વ્યક્તિના મૃત્યુનો મલાજો ય જાળવી શકાતો નથી! ઉલટાનું મૃત્યુ પામનાર વ્યક્તિ વિષે હીન ભાવના વ્યક્ત કરવામાં આવે છે. ગઈકાલે હેલિકોપ્ટર ક્રેશમાં જેમનું મૃત્યુ થયું, એવા ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત (CDS Bipin Rawat) સાથે પણ આવું જ કંઈક બન્યું છે.
ગઈ કાલે CDS બિપીન રાવતના નિધન બાદ જ્યારે આખો દેશ શોકમગ્ન હતો, ત્યારે પોતાને ભેરાઈ ગામના માજી સરપંચ તરીકે ઓળખાવનાર શિવાભાઈ આહીર નામના શખ્સે ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટમાં લખ્યું હતું કે ‘પુલવામા દ્રોહી મનોહર પારીકર બાદ સેનાપ્રમુખ બિપીન રાવતનો વારો આવ્યો, અને હવે અજીત ડોભાલનો વારો આવશે!’ આવું લખીને શિવા આહિરે ખડખડાટ હસતું ઈમોજી પણ મૂક્યું હતું! સ્વ. મનોહર પરિકર ભારતના સંરક્ષણમંત્રી પદે હતા. અને બિપીન રાવત ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ હતા. તેમજ અજીત ડોવલ (Ajit Doval) હાલમાં મુખ્ય સુરક્ષા સલાહકાર (National Security Advisor) તરીકે સેવા આપી રહ્યા છે. આ પ્રકારના ઉચ્ચ સ્થાનો પર બેઠેલા લોકો વિષે પૂરતા પુરાવા વિના માત્ર રાજકીય અદાવત કે વિચારધારાથી પ્રેરાઈને ફોરવર્ડ કરાતા નિમ્ન કક્ષાના મેસેજીઝ ક્યારેક તમને કાનૂની પ્રક્રિયાનો ભોગ બનાવી શકે છે.
શિવા આહિરે પોતાના ફેસબુક પેજ પર સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવનો ફોટો રાખ્યો છે. ઉપરાંત એની ફેસબુક વોલ પર સમયાંતરે ભાજપ વિરોધી પોસ્ટ્સ મૂકેલી જોઈ શકાય છે. તમે કોઈ પાર્ટીના સમર્થક હોવ કે કોઈ પાર્ટીનો વિરોધ કર્તા હોવ, એની સામે કોઈને વાંધો હોઈ ન શકે. પણ જ્યારે વિરોધના ચક્કરમાં તમે કોઈના મૃત્યુ સમયે આધારહીન અને અણછાજતી પોસ્ટ મૂકો, ત્યારે સ્વાભાવિક રીતે જ લોકોનો રોષ ફાટી નીકળતો હોય છે. શિવા આહિરે પોતાના ફેસબુક પેજ પર પોતાનો મોબાઈલ નંબર પણ મૂક્યો હતો. આથી રોષે ભરાયેલા લોકોએ ગઈ કાલથી એના પર ફોન કોલ્સનો મારો ચલાવ્યો હતો. પરિણામે શિવાએ પોતાનો મોબાઈલ સ્વિચ્ડ ઓફ કરી દીધાનું જાણવા મળ્યું છે.
સોશિયલ મિડીયા પર અંશુલ સક્સેના નામના એક બ્લોગરે શિવા આહીરની પોસ્ટના સ્ક્રીન શોટસ્ લઈને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે. જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) ને ટેગ કરીને એમનું ધ્યાન દોર્યું છે. અંશુલની આ ટ્વિટને હજારો લોકોએ રી-ટ્વિટ કરીને પોતાના રોષનો પડઘો પડ્યો છે. લોકોની પ્રબળ માગણી છે કે ચીફ ઓફ ડિફેન્સ જેવા ઊંચા પડે બિરાજેલ સેનાપતિના મૃત્યુનો મલાજો ન જાળવનાર વ્યક્તિને કડક સજા કરવામાં આવે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp